વાઘ-બકરી ટી લાઉન્જની ચાના બગીચાની મહિલા કામદારો માટે અનોખી પહેલ

અમદાવાદ: ચાના વ્યવસાયમાં ગ્રાહકોની વિશ્વસનીયતા ધરાવતું વાઘ-બકરી ટી ગ્રુપ સામાજિક નીસબતો સાથે સમાજમાં અનેક મોર્ચે કાર્યરત છે. ચા ઉદ્યોગમાં 133 વર્ષથી નામના ધરાવતા આ સમૂહે ઉત્તર-પૂર્વ ભારતમાં વિમેન ટી પ્લકર્સને સમર્થન આપવા માટે એક ખાસ પહેલ શરૂ કરી છે. ‘કપ ઓફ ગુડનેસ’ નામની આ પહેલ સાથે તેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. આ પહેલ મહિલાઓના સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. જેના હેઠળ, વાઘ-બકરી ટી લાઉન્જના કુલ બિલનો 5% ભાગ આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ અને મહિલા શ્રમિકોના બાળકોના શિક્ષણ માટે સમર્પિત ભંડોળમાં દાન કરવામાં આવશે. આ ઝુંબેશ આગામી 13 મહિના સુધી ચાલશે. વાઘ-બકરી ટી ગ્રુપે આ પહેલ માટે પહેલા એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેનાથી આસામના ચા બગીચાઓની લગભગ 700 ટી પ્લકર્સને ફાયદો થયો હતો. વાઘ-બકરી ટી ગ્રુપે આ પહેલ માટે 12 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું, જેનાથી આસામના ટી પ્લકર્સને ફાયદો થયો હતો.વાઘ-બકરી ટી ગ્રુપના ડિરેક્ટર વિદિશા પરાગ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “વાઘ બકરી ખાતે, અમે ફક્ત એક કપ ચાથી આગળ સકારાત્મક પરિવર્તન લાવવામાં માનીએ છીએ. આ પહેલ દ્વારા, આરોગ્ય, સ્વચ્છતા અને શિક્ષણ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓને સંબોધીને અમારા ઉદ્યોગના પાયામાં રહેલી ટી પ્લકર્સના જીવનમાં પરિવર્તન લાવવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ. પાયલોટ પ્રોજેક્ટની સફળતાથી અમને જે સકારાત્મક અસર થઇ છે તેનાથી અમારો વિચાર વધારે મજબૂત બન્યો છે. અમે અમારા ગ્રાહકોનો આ પહેલને સમર્થન આપવા બદલ આભાર માનીએ છીએ અને ફરી એકવાર કહેવા માંગીએ છીએ કે વાઘ બકરી ટી લાઉન્જમાં તેઓ જે ચા પીવે છે તે કપ ઓફ ગુડનેસ છે.”બાલ રક્ષા ભારત એન.જી.ઓ.ના કૃતાંજલી કશ્યપે જણાવ્યું હતું કે, “ચા પત્તી ચૂંટનારી મહિલાઓને મૂળભૂત આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા સુવિધાઓ મેળવવામાં નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડે છે અને તેમના બાળકોમાં ઘણીવાર શૈક્ષણિક સંસાધનોનો અભાવ હોય છે. વાઘ-બકરી ટી ગ્રુપ સાથેનો આ સહયોગ ખૂબ જ જરૂરી ટેકો તે મહિલાઓને પૂરો પાડશે અને તેમના માટે અર્થપૂર્ણ તકો ઊભી કરશે. અમે આ પહેલ માટે આભારી છીએ અને તેની અસરની રાહ જોઈ રહ્યા છીએ.”

વાઘ-બકરી ટી ગ્રુપ મહિલા સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને પર્યાવરણીય ટકાઉપણું જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતી અનેક CSR પહેલોને સમર્થન આપે છે. જેનો સ્થાનિક સમુદાયો પર નોંધપાત્ર પ્રભાવ પડ્યો છે. તેમની નવીન પહેલ દ્વારા, તેઓ લોકોના જીવનના ઉત્થાન માટે તેમના સમર્પણને પુનઃપુષ્ટિ આપે છે.