પંજાબ–હિમાચલ વચ્ચે વચ્ચે એન્ટ્રી ટેક્સ મુદ્દે મોટો વિવાદ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ અને પડોશી રાજ્ય પંજાબ વચ્ચે એન્ટ્રી ટેક્સ મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. હિમાચલની સુખવિંદર સિંહ સુક્કુ સરકારે 1 એપ્રિલથી રાજ્યમાં પ્રવેશતાં બહારનાં વાહનો પર ટેક્સ વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ પંજાબના સરહદી વિસ્તારોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને ત્યાંના લોકોએ હિમાચલની ગાડીઓ રોકવાની સીધી ધમકી આપી છે. મુદ્દો એટલો ઉગ્ર બન્યો છે કે સોમવારે હિમાચલ વિધાનસભામાં પણ આ મુદ્દે ભારે હોબાળો થયો, જેને કારણે સરકાર બેકફૂટ પર દેખાઈ રહી છે.

સામાન્ય લોકોનાં ખિસ્સાં પર કેટલી અસર?

નવા આદેશ મુજબ, અત્યાર સુધી કાર લઈને હિમાચલ જતાં 70 રૂપિયા એન્ટ્રી ટેક્સ લાગતો હતો, જેને વધારીને સીધો 170 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય મોટાં કોમર્શિયલ વાહનોના એન્ટ્રી ટેક્સમાં પણ અંદાજે 2.5 ગણો વધારો કરવામાં આવ્યો છે.

 પંજાબની ચેતવણી: અમારી ગાડીઓ રોકશો તો અમે પણ રોકીશું

ટેક્સ વધારાનો સૌથી વધુ પ્રભાવ પંજાબ-હિમાચલ બોર્ડર વિસ્તારમાં રોજ અવરજવર કરતા લોકો પર પડશે. પંજાબના ટ્રાન્સપોર્ટર્સ અને સ્થાનિક લોકોએ તેનો જોરદાર વિરોધ શરૂ કર્યો છે. પંજાબ તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો હિમાચલ વધારેલા ટેક્સ સાથે તેમની ગાડીઓ પાસેથી વસૂલી કરશે, તો તેઓ પણ પંજાબની સરહદમાં હિમાચલનાં વાહનોની એન્ટ્રી બંધ કરી દેશે.

પંજાબના નાણાપ્રધાન હરપાલ સિંહ ચીમાએ હિમાચલની કોંગ્રેસ સરકાર પર ‘દેવાળિયા’ જેવી સ્થિતિ હોવાનો આરોપ લગાવતાં ‘જેમને તેમ’ ટેક્સ લગાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પંજાબ સરકાર પણ હિમાચલનાં વાહનો પર જવાબી એન્ટ્રી ટેક્સ લગાવવાની ગંભીરતાથી વિચારણા કરી રહી છે. જો તેઓ અમારા લોકો પાસેથી ટેક્સ વસૂલી શકે છે, તો અમારે પણ વિચારવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું.

વિધાનસભામાં જયરામ ઠાકુરનો પ્રહાર — આ CMની જીદ છે

આ ભારે વિરોધની અસર હિમાચલ પ્રદેશ વિધાનસભામાં પણ જોવા મળી. વિરોધ પક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે ટેક્સ વધારાને સીધું CM સુક્કુની જીદ ગણાવી. તેમણે કહ્યું હતું કે આ એક નિર્ણયથી પંજાબ અને હિમાચલ વચ્ચેના સંબંધો બગડશે અને સામાન્ય હિમાચલી લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ જશે. સરકારે તરત જ આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ.