સર રતન ટાટા ટ્રસ્ટમાં વિવાદઃ મેહલી મિસ્ત્રીએ દાખલ કરી અરજી

મુંબઈઃ મેહલી મિસ્ત્રીએ (Mehli Mistry) સર રતન ટાટા ટ્રસ્ટ (Sir Ratan Tata Trust)ના ટ્રસ્ટી તરીકે પોતાના કાર્યકાળનું નવીનીકરણ (રિન્યુઅલ) ન કરવાના નિર્ણયને પડકાર્યો છે. આ મુદ્દે તેમણે મહારાષ્ટ્રના ચેરિટી કમિશનર સમક્ષ અરજી દાખલ કરી છે. મેહલી મિસ્ત્રીએ ટ્રસ્ટની ગવર્નન્સ, હિતોના સંઘર્ષ (Conflict of Interest) અને નિર્ણય પ્રક્રિયા (Decision-Making) અંગે પણ અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.મેહલી મિસ્ત્રીએ મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ એક્ટની કલમ 22 હેઠળ વિગતવાર વાંધો નોંધાવ્યો છે. તેમણે રતન ટાટાના નિધન બાદ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો અને કેટલાક ટ્રસ્ટીઓની નિમણૂકોની તપાસ કરવાની માગ કરી છે.

શું છે  મામલો?

ચોથી જૂને દાખલ કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ 17 ઓક્ટોબર, 2024એ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો. તેનો હેતુ હાલની ગવર્નન્સ વ્યવસ્થા જાળવવા માટે ટ્રસ્ટીઓની પુનઃનિમણૂક કરવાનો હતો. મેહલી મિસ્ત્રીનો આરોપ છે કે તેમના મામલામાં આ સર્વસંમતિનો અમલ કરવામાં આવ્યો નહોતો અને તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો નહોતો. તેમને મતે આ નિર્ણય મનસ્વી હતો અને રતન ટાટાના નિધન બાદ ટ્રસ્ટોમાં સ્થિરતા અને સતતતા જાળવવાના ઉદ્દેશ સાથે પસાર કરાયેલા ઠરાવની ભાવના વિરુદ્ધ હતો. આ અરજીમાં માત્ર ટ્રસ્ટીઓની નિમણૂકો અંગે જ નહીં પરંતુ ટાટા ટ્રસ્ટ્સની વહીવટી પ્રક્રિયાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મેહલી મિસ્ત્રીનો આરોપ છે કે કેટલાક ટ્રસ્ટીઓને ટ્રસ્ટી અને નોમિની ડિરેક્ટર તરીકે કામ કરતી વખતે ટાટા ગ્રુપની કંપનીઓમાંથી નાણાકીય લાભ મળ્યો હતો.

આ અરજીમાં જણાવાયું છે કે ટ્રસ્ટી વેણુ શ્રીનિવાસનને ટાટા ગ્રુપની કંપનીઓ — ટાટા સન્સ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ, ટાટા લૉકહીડ માર્ટિન એરોસ્ટ્રક્ચર્સ અને ટાટા સિકોર્સ્કી એરોસ્પેસ — પાસેથી અનેક વર્ષોમાં મળીને રૂ. 20 કરોડથી વધુની ચુકવણી અને કમિશન મળ્યાં હતાં. મેહલી મિસ્ત્રીએ આ મામલે ફિડ્યુશિયરી (ન્યાસી) અને વહીવટી દૃષ્ટિકોણથી ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી છે.