આતંકવાદીઓને કલ્પના કરતાં પણ મોટી સજા અપાશેઃ PM મોદી

પટનાઃ PM મોદી બિહારની મુલાકાતે છે. તેમણે મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે આ કાર્યક્રમની શરૂઆતમાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શ્રદ્ધાંજલિ આપી હતી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું. PM મોદીએ તેમના સંબોધનમાં અનેક મુદ્દો પર વાત કરી હતી. પહેલગામ હુમલા બાદ પીએમ મોદીનું આ પહેલું જાહેર ભાષણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલા પર સ્પષ્ટ કહ્યું હતું કે આતંકવાદીઓને તેમની કલ્પનાથી પણ મોટી સજા મળશે. દરેક આતંકવાદીને શોધીને સજા આપવામાં આવશે. કોઈને પણ છોડવામાં નહીં આવે. આ હુમલો માત્ર એ પર્યટકો પર નહોતો, પણ ભારતના આત્મા પર હતો. અમે આતંકવાદીઓને ઓળખીને ઠાર કરીશું, એમ તેમણે કહ્યું હતું.હું આખા વિશ્વને કહેવા માગું છું કે ભારત પ્રત્યેક આતંકવાદીને શોધી-શોધીને મારશે. અમે આ હુમલાના ન્યાય માટે દરેક પ્રયાસો કરીશું.

મંગળવારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ હુમલો પહલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા. આ કાર્યક્રમમાં PM મોદીએ બિહારવાસીઓને અનેક ભેટ આપી હતી. ગેસ વિદ્યુત અને રેલવે પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે CM નીતિશ કુમાર અને તેમના ઘણા મંત્રીમંડળના મંત્રીઓ હાજર રહ્યા હતા.