મુંબઈઃ 26-11ના આતંકવાદી હુમલાના આરોપીઓમાંના એક તહવ્વુર રાણાને આખરે અમેરિકાથી 17 વર્ષે ભારત લાવવામાં સફળતા મળી છે. પાકિસ્તાની મૂળના 64 વર્ષીય કેનેડિયન નાગરિકને અમેરિકાથી વિશેષ વિમાનમાં ગઈ કાલે નવી દિલ્હી લાવવામાં આવ્યો હતો, જ્યાં NIAએ સત્તાવાર રીતે તેની ધરપકડ કરી હતી અને પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કર્યો હતો.
કોર્ટે શુક્રવારે રાણાને 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાણાને અહીંના CGO કોમ્પ્લેક્સમાં આતંકવાદ વિરોધી એજન્સીના મુખ્યાલયની અંદર એક હાઈ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવશે. રાણા 18 દિવસ સુધી NIA કસ્ટડીમાં રહેશે, જે દરમિયાન એજન્સી 2008ના ઘાતક હુમલા પાછળના સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા માટે તેની વિગતવાર પૂછપરછ કરશે, જેમાં કુલ 166 લોકોની હત્યા કરવામાં આવી હતી અને 238થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
મુંબઈમાં વર્ષ 2008ના 26 નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવામાં તહવ્વુર રાણાની મહત્ત્વની ભૂમિકા હતી. જોકે અમેરિકાએ 2009માં ડેન્માર્કમાં એક આતંકવાદી હુમલામાં તેની ધરપકડ કરી હતી. ત્યાર પછી ભારતે રાણાને ભારત લાવવા માટે વર્ષો સુધી કાયદાકીય લડત લડી હતી. ભારતમાં પ્રત્યાર્પણ રોકવા માટેની તમામ અરજીઓ અમેરિકન કોર્ટે ફગાવી દીધા પછી અંતે રાણાને નવી દિલ્હી લાવવામાં આવ્યો હતો.
તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની સૌપ્રથમ જાહેરાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી 2025માં અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે કરી હતી. ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અમે અત્યંત હિંસક માણસને ભારતને સોંપી રહ્યા છીએ, જ્યાં તે તાત્કાલિક ભારતના ન્યાયતંત્રનો સામનો કરશે. ટ્રમ્પે કહ્યું કે, અમારા તંત્રે રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. રાણા લોસ એન્જેલસમાં મેટ્રોપોલિટન ડીટેન્શન સેન્ટરમાં કેદ હતો.
