મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં નવી રીતે ખીચડી રંધાઈ રહી છે કારણ કે રાજ્યના ડેપ્યુટી CM અને NCPપ્રમુખ અજિત પવારે તેમના કાકા શરદ પવારની મુલાકાત કરી છે. NCPમાં ભાગલા પછી અને NCP પરનો અધિકાર અજિત પવારને મળ્યા પછી શરદ પવારે NCP (SP)નું ગઠન કર્યું હતું. હવે કાકા-ભત્રીજા વચ્ચે થયેલી આ મુલાકાત પછી અટકળો ચાલી રહી છે કે શું બંને પાર્ટીઓ ફરી એક થશે?
શરદ પવાર અને અજિત પવારની પુણેના સાખર સંકુલમાં થયેલી મુલાકાતની ખાસ બાબત એ હતી કે આ બેઠક NCP પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલના નિવાસસ્થાને બંધ દરવાજા પાછળ યોજાઈ હતી. જ્યારે બેઠક પૂરી થયા પછી અજિત પવાર ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે મિડિયા સાથેની વાતચીતમાં જ્યારે વિલય અંગે પૂછવામાં આવ્યું તો ડેપ્યુટી CMએ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.
શરદ પવારે નિર્ણય સુપ્રિયા સુલે ઉપર છોડ્યો
NCPના પ્રવક્તા સંજય તટકરે સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે બંને જૂથો વચ્ચે સંભવિત વિલય અંગે અટકળો ચાલી રહી છે. આ મુદ્દે ટિપ્પણી તો માત્ર બંને પક્ષના વરિષ્ઠ નેતૃત્વ જ કરશે. આ વિલય અંગે પૂછતાં શરદ પવારે તાજેતરમાં કહ્યું હતું કે તેમની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે પાર્ટીના ધારાસભ્યો અને સાંસદો સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેશે.
અજિત પવાર જૂથનું નિવેદન
NCPના અજિત પવાર જૂથના એક નેતાએ વિલયની અફવાઓ પર ઠંડો પ્રતિસાદ આપ્યો. તેમણે કહ્યું હતું કે અમે સત્તામાં છીએ અને તેમના જૂથના ઘણા લોકો પહેલાથી જ અમારી સંપર્કમાં છે, કેટલાક તો જોડાઈ પણ ગયા છે. વિલયની વાત માત્ર બાકીના લોકોને અટકાવવા માટે છે. હું માનતો નથી કે એવું થશે, જયાં સુધી નેતૃત્વનો મુદ્દો ઉકેલાતો નથી. એનો અર્થ એ થાય છે કે અજિત પવાર ઇચ્છે છે કે શરદ પવાર જાહેરમાં કહે કે ભવિષ્યમાં પાર્ટીનું નેતૃત્વ અજિત કરશે.
2023માં NCPમાં વિભાજન
વર્ષ 2023માં NCP બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી અને તેની પાછળનું કારણ હતું અજિત પવારનો બળવો કરવો. જોકે આ બળવો પાછળનો ઈતિહાસ અને કારણ NCPમાં ચાલતી આંતરિક વર્ચસ્વની લડાઈ હતી.
