પર્ફોર્મ કરવા યોગ્ય લોકોને ટીમમાં લાવવાની જરૂરઃ કોહલી

નવી દિલ્હીઃ સાઉથમ્પટનમાં રમાઈ ગયેલી ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ન્યુ ઝીલેન્ડે ભારતને આઠ વિકેટે હરાવ્યું હતું. આ હાર પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઘણો હતાશ થયો હતો. તેણે કહ્યું હતું કે પર્ફોર્મ કરવા માટે ટીમમાં યોગ્ય માનસિકતાવાળા લોકોને લાવવાની જરૂર છે. જોકે વિરાટે ન્યુ ઝીલેન્ડની વિરુદ્ધ ફાઇનલ રમનારી ટીમ ઇન્ડિયાના કોઈ પણ ખેલાડીનું નામ નહોતું લીધું. તેણે નારાજગી દર્શાવતાં કહ્યું હતું કે કેટલાક ખેલાડીઓને રન બનાવવા માટે સાચી મહેનત નહોતી કરી, જેના લીધે બેટિંગ પર વધુ દબાણ આવી પડ્યું હતું. ટેસ્ટ ક્રિકેટનો નિષ્ણાત મનાતો ચેતેશ્વર પૂજારા આ મેચમાં સંઘર્ષ કરતો નજરે ચઢ્યો હતો. તેણે પહેલી ઇનિંગ્સમાં 54 બોલમાં આઠ રન અને બીજી ઇનિંગ્સમાં 80 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો.

મેચ પત્યા પછી વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં વિરાટે કહ્યું હતું કે અમે અમારી ટીમને મજબૂત બનાવવા માટે જરૂરી બાબતોનું મૂલ્યાંકન કરવાનું અને વાતચીત કરવાનું જારી રાખીશું. અમે એવી કોઈ પેટર્ન ફોલો નહીં કરીએ, જેનાથી અમને નુકસાન થાય. તેણે વધુમાં કહ્યું હતું કે એમે એક-બે વર્ષ સુધી રાહ નહીં જોઈએ.

અમારે આગામી યોજના તૈયાર કરવી પડશે. ટેસ્ટ ક્રિકેટનો સેટઅપ સફેદ બોલની જેમ હોવો જોઈએ, જ્યાં કોઈ ખેલાડીએ જવાબદારી નિભાવવા તૈયાર હોય. કપ્તાને કહ્યું હતું કે ટીમમાં સારો દેખાવ કરવા માટે ટીમમાં યોગ્ય માનસિકતાવાળા ખેલાડીઓને લાવવાની જરૂર છે.