હાર્દિક પંડ્યાનું ટીમ ઇન્ડિયામાં કમબેક કરવું સરળ નથી

316

નવી દિલ્હીઃ ભારતીય ટીમની વેસ્ટ ઇન્ડિઝની સામે રમાનારી વનડે અને T20 સિરીઝ માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. આ બંને ટીમોમાં મેચ વિનર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને સામેલ કરવામાં નથી આવ્યો. તે સિલેક્ટર્સને ફિટનેસનો વિશ્વાસ અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે ટીમ ઇન્ડિયામાં પરત ફરવું હશે તો તેણે તેની જાતને સાબિત કરવાની રહેશે.

હાર્દિક એક બાજુ ફિટનેસથી ઝઝૂમી રહ્યો છે, જેથી તેની ટીમમાં પરત ફરવું એટલું સરળ પણ નહીં હોય. ત્યારે અન્ય ક્રિકેટરોએ ઓલ રાઉન્ડર દેખાવ કરીને ટીમમાં સ્થાન મેળવવાનો દાવો કર્યો છે. એમાં શાર્દૂલ ઠાકુર અને દીપક ચહેરનું નામ સૌથી આગળ છે. વેંટકેશ ઐયર પણ લાઇનમાં છે.

વેસ્ટ ઇન્ડિઝની સામે બંને ટીમોમાં શાર્દૂલ ઠાકર અને દીપક ચહેરને જગ્યા મળી છે. બંનેએ દક્ષિણ આફ્રિકામાં સારી બેટિંગ કરીને ટીમ ઇન્ડિયાની આબરૂ બચાવતાં પોતાનો દાવો મજબૂત કર્યો છે. વનડે સિરીઝ પહેલાં બે મેચોમાં શાર્દૂલે 50 અને 40 નોટઆઉટ કર્યા હતા. આ ઉપરાંત દીપકે વનડેમાં રમતાં બે વિકેટ ખેરવી હતી અને 54 રનની ઇનિંગ્સ રમી હતી.

વળી, હાર્દિકે T20 વર્લ્ડ કપમાં અપેક્ષા મુજબ દેખાવ નહોતો કર્યો, જેથી તેણે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જેથી તેને ન્યુ ઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સિરીઝ માટે પસંદગી નહોતો પામ્યો.