સોનગઢના વડપાડા ખાતે ઘરમાં પાણી ભરાતાં ૭૦ વર્ષીય વડીલનું સુરક્ષિત સ્થળાંતર

તાપી: જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારેથી અતિભારે વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. દરમિયાન, સોનગઢ તાલુકાના વડપાડા (પ્ર. ઉમરદા) ગામના પારસી ફળિયા ખાતેથી વહીવટી તંત્રની માનવતા અને સમયસૂચકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.

અહીં રહેતા ૭૦ વર્ષીય વડીલ અમૃતભાઈ છીબાભાઈ સોલંકીના ઘરમાં અચાનક વરસાદી પાણી ઘૂસી જતાં તેઓ ફસાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડીલના સુરક્ષિત રેસ્ક્યૂ માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્રાથમિક શાળામાં આશ્રય, રહેવા-જમવાની પૂરતી વ્યવસ્થા

તંત્રની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને વડીલ અમૃતભાઈને ઘરમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને ગામની જ વડપાડા (પ્ર. ઉમરદા) પ્રાથમિક શાળા ખાતે સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે.

વહીવટી તંત્ર દ્વારા વડીલ માટે આશ્રય સ્થાન પર જ રહેવાની તથા પૌષ્ટિક જમવાની તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આપત્તિના સમયમાં તંત્રની સમયસરની અને સંવેદનશીલ કામગીરીને કારણે વડીલને ભારે રાહત મળી છે અને સ્થાનિકોમાં પણ તંત્રની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.