ડીએચએફએલ કેસ: પિરામલ સામે 63 મૂન્સની જીત

મુંબઈઃ નાદારી નોંધાવી ચૂકેલી દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)ના કેસમાં 63 મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડની અરજી સંબંધે વિચારણા કરવાનો નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યુનલ (NCLAT)એ કમિટી ઓફ ક્રેડિટર્સને ગુરુવારે આદેશ આપ્યો છે.

ડીએચએફએલે ગેરરીતિપૂર્વક સગેવગે કરેલી 40,000 કરોડ રૂપિયા મૂલ્યની એસેટ્સની રિકવરીનું મૂલ્ય પિરામલે ફક્ત 1 રૂપિયો ગણાવ્યું હતું અને તેને કારણે ક્રેડિટર્સને મોટું નુકસાન થઈ રહ્યું હોવાથી 63 મૂન્સે એનક્લેટ (નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ)માં અરજી કરી હતી.

63 મૂન્સ પોતે ડીએચએફએલની ક્રેડિટર છે. તેણે ડીએચએફએલના 200 કરોડ રૂપિયાની મૂળ કિંમતના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સમાં રોકાણ કર્યું હતું.

પિરામલ ગ્રુપે ડીએચએફએલના રિઝોલ્યુશન પ્લાનમાં ભાગ લીધો હતો અને એનસીએલટી (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ)એ તેના પ્લાનનો સ્વીકાર કર્યો હતો. 63 મૂન્સે એનસીએલટીના આદેશને પડકારતાં કહ્યું હતું કે પિરામલે 40,000 કરોડ રૂપિયાની એસેટ્સનું મૂલ્ય ફક્ત 1 રૂપિયો ગણાવ્યું હોવાથી ક્રેડિટર્સને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ અરજી સંબંધે એનક્લેટે ઉક્ત આદેશ આપ્યો છે. તેને પગલે હવે કમિટી ઓફ ક્રેડિટર્સે ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઇબીસી)ની કલમ 66ની જોગવાઈ વિશે પુનઃ વિચાર કરવો પડશે.

ડીએચએફએલના રિઝોલ્યુશન પ્લાનમાં કમિટીએ આ જોગવાઈ તરફ દુર્લક્ષ કર્યું હતું અને તેને લીધે પિરામલ ગ્રુપ લાભ ખાટી ગયું હતું.

63 મૂન્સે કહ્યું છે કે જો કમિટી કલમ 66ની જોગવાઈને ધ્યાનમાં રાખીને પુનઃ વિચાર કરશે તો ડીએચએફએલના લાખો ક્રેડિટર્સ પ્રચંડ મોટા નુકસાનથી બચી જશે, કારણ કે આ કલમમાં કહેવામાં આવ્યું છે કે તમામ ક્રેડિટર્સને લાભ મળવો જોઈએ.

નોંધનીય છે કે કમિટી ઓફ ક્રેડિટર્સના નિર્ણયને પડકારનાર 63 મૂન્સ એકમાત્ર કંપની હતી.

63 મૂન્સે એમ પણ કહ્યું છે કે તેને ભારતના ન્યાયતંત્રમાં પૂર્ણ વિશ્વાસ છે. આખરે સત્યની જ જીત થશે.