ઈરફાન પઠાણે ખોલ્યું રોહિત-શિખરની ઓપનિંગ જોડીની સફળતાનું રહસ્ય

નવી દિલ્હી: વન ડે ક્રિકેટમાં શિખર ધવન અને રોહિત શર્માની ઓપનિંગ જોડી સર્વશ્રેષ્ઠ હોવાનું કહેવાય છે. આ જોડીની સફળતા પાછળનું કારણ જણાવતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે કહ્યું કે, શિખર ધવન અને રોહિત શર્માએ સંયુક્તપણે મર્યાદિત ઓવર (50 ઓવરની ક્રિકેટ) મેચોમાં ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવતા રહ્યા છે. આ ભારતીય ઓપનરો છેક 2013થી મર્યાદિત ઓવરની ક્રિકેટ મેચોમાં શાનદાર બેટિંગ કરી રહ્યા છે.

પઠાણે સ્ટાર સ્પોર્ટ્સના ‘ક્રિકેટ કનેક્ટેડ’ શોમાં કહ્યું કે, અમને ખબર છે કે શિખર ખૂબ જ હળવાશથી રમે છે અને તે રોહિત શર્માને બેટિંગ માટે સમય આપે છે. રોહિત શર્મા ઝડપી આક્રમક વલણ અપનાવવામાં કેવી રીતે સક્ષમ છે તે આપણે બધા જાણીએ છીએ, પરંતુ શરૂઆતમાં તેને સમયની જરૂર હોય છે.

પઠાણે કહ્યું કે બંને ખેલાડીઓ એક બીજાની રમત અને ક્ષમતા વિશે જાણે છે એ જ આ જોડીની સફળતાનું મુખ્ય કારણ છે. ક્રિકેટમાં તમારે તમારી શક્તિ અને નબળાઇઓ સમજવા માટે બીજા છેડે કોઈની જરૂર હોય છે. શિખર જાણે છે કે શરૂઆતમાં રોહિતને સેટ થવા થોડી ઓવરની જરૂર હોય છે.

પઠાણ વધુમાં કહે છે કે, આવા સમયે શિખર જવાબદારી લે છે અને મને લાગે છે કે આના કારણે તે પણ સફળ છે. હરીફ ટીમના સ્પિનરો બોલિંગ માટે આવે ત્યાં સુધીમાં રોહિત ક્રિઝ પર જામી ગયો હોય છે અને તે બધી જવાબદારી પોતાના પર લઈ લે છે. રોહિત અને શિખરે પાર્ટનરશીપમાં 16 સદી ફટકારી છે અને આ યાદીમાં તેઓ એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યુ હેડન સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી છે, જેના નામે 21 સદીની ભાગીદારી છે.