આઈપીએલ-2022ની ફાઈનલ મેચ, પૂર્ણાહુતિ સમારોહ મોદી સ્ટેડિયમમાં

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની હાલ રમાતી 15મી મોસમની ફાઈનલ મેચ અને પૂર્ણાહુતિ સમારોહ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવા માગે છે. જો એ હકીકત બનશે તો ત્રણ વર્ષ પછી આ સ્ટેડિયમમાં મોટો સમારોહ યોજાશે. કોરોનાવાઈરસ ચેપી બીમારીને કારણે ક્રિકેટ બોર્ડને આ સ્ટેડિયમમાં છેલ્લા બે વર્ષથી પૂર્ણાહુતિ સમારોહ યોજવાનું રદ કરવું પડ્યું છે.

આઈપીએલ-15ની ફાઈનલ મેચ 29 મેએ રમાશે અને ત્યારબાદ પૂર્ણાહુતિ સમારોહ યોજાશે, એમ બીસીસીઆઈના એક સૂત્રએ એએનઆઈ સમાચાર સંસ્થાને જણાવ્યું છે. હાલ આઈપીએલની લીગ મેચો મહારાષ્ટ્રમાં ચાર સ્ટેડિયમમાં રમાઈ રહી છે – મુંબઈમાં વાનખેડે અને બ્રેબોર્ન સ્ટેડિયમ, નવી મુંબઈમાં ડી.વાય. પાટીલ સ્ટેડિયમ અને પુણેના એમસીએ સ્ટેડિયમમાં. પ્લે-ઓફ તબક્કાની મેચોની તારીખો હજી નક્કી થવાની બાકી છે.