કૃણાલના સંપર્કમાં આવેલા 8-ખેલાડીઓ આજની-T20Iમાં નહીં રમે

કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ આજે રમાશે. આ મેચ કાર્યક્રમ અનુસાર ગઈ કાલે રમાનાર હતી, પણ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને કોરોનાવાઈરસનો ચેપ લાગતાં મેચને આજ પર મુલતવી રાખવી પડી છે. કૃણાલને હવે સાત દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડશે એટલે તે વર્તમાન સિરીઝ ચૂકી જશે. કૃણાલ સિમ્પ્ટોમેટિક છે. એને ઉધરસ થઈ છે અને ગળામાં દુખાવો થાય છે.

કૃણાલના સંપર્કમાં આવેલા આઠ ખેલાડીઓનો RT-PCR ટેસ્ટ લેવામાં આવ્યો હતો, એ નેગેટિવ આવ્યો છે તે છતાં સાવચેતીના પગલા તરીકે એમને આજની બીજી મેચમાં રમાડવામાં નહીં આવે. આમ, ભારતને નબળી ટીમ સાથે મેચમાં ઉતરવું પડશે. બંને ટીમ વચ્ચેની ત્રીજી અને સિરીઝની આખરી ટ્વેન્ટી-20 મેચ આવતીકાલે ગુરુવારે રમાશે. પહેલી મેચ ભારત જીત્યું હતું. શ્રીલંકાના આરોગ્ય સુરક્ષા નિયમો અનુસાર, કૃણાલ 30 જુલાઈએ ટીમના અન્ય સભ્યોની સાથે ભારત પાછો જઈ નહીં શકે. એણે કોલંબોમાં જ ફરજિયાત આઈસોલેશનમાં રહેવું પડશે અને RT-PCR રિપોર્ટ નેગેટિવ આવે તે પછી જ ભારત પાછો જઈ શકશે.