મુંબઈઃ ભારત જ્યારે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમશે, ત્યારે BCCIમાં એક મોટો ફેરફાર જોવા મળશે. વાસ્તવમાં, BCCI અધ્યક્ષપદની જવાબદારી હવે રોજર બિન્નીની જગ્યાએ રાજીવ શુક્લા સંભાળશે. સૂત્રોના કહેવા અનુસાર બિન્નીના નિવૃત્તિને કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
BCCIનાં સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે અનુભવી ક્રિકેટ પ્રશાસક રાજીવ શુક્લા આગામી મહિને રોજર બિન્ની 70 વર્ષ પૂર્ણ કરશે ત્યારે વચગાળાના અધ્યક્ષ તરીકે BCCIનું નેતૃત્વ સંભાળશે.
બિન્નીએ 2022માં બોર્ડ અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીની જગ્યાએ પદ સંભાળ્યું હતું, 19 જુલાઈએ 70 વર્ષના થશે, જે બોર્ડના પદાધિકારીઓ માટે નક્કી કરાયેલી વયમર્યાદા કરતાં વધુ છે.
65 વર્ષીય શુક્લા હાલમાં BCCIના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. સપ્ટેમ્બરમાં બોર્ડની વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી તેઓ BCCIના કાર્યકારી અધ્યક્ષ રહેશે. શુક્લાને ખેલાડીઓની નજીકની વ્યક્તિ પણ માનવામાં આવે છે અને બોર્ડમાં તેમને લાંબો અનુભવ પણ છે.
રાજીવ શુક્લા 2020 થી BCCIના ઉપપ્રમુખ તરીકે કામગીરી બજાવી રહ્યા છે. તે અગાઉ તેઓ 2017 સુધી ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન (UPCA) માટે સચિવ તરીકે કાર્ય કરી ચૂક્યા છે. શુક્લા 2018 સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના અધ્યક્ષ તરીકે પણ રહ્યા હતા. હવે તેઓ BCCIના અધ્યક્ષ તરીકેની ભૂમિકા નિભાવતા જોવા મળશે.
