ચૂંટણી પરિણામો પછી વડાપ્રધાન મોદીનું પ્રથમ સંબોધન

નવી દિલ્હી: દેશની લોકસભા ચૂંટણીમાં પરિણામોમાં NDAને બહુમતી મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ હેડક્વાર્ટરથી દેશવાસીઓને સંબોધન કર્યું. અહીં તેમણે કહ્યું કે, હું તમામ દેશવાસીઓનો ઋણી છું. આ સાથે તેમણે ત્રીજી વખત સરકાર બનાવવા મજબૂત દાવેદારી સાથે પ્રતિબંદ્ધતા દર્શાવી છે.
વડાપ્રધાને કહ્યું કે, ભાજપે જેટલી બેઠકો અકલા હાથે જીતી છે, તેટલી બેઠકો ઈન્ડિયા ગઠબંધનના સભ્યો સાથે મળીને પણ જીતી શક્યા નથી. કાર્યકર્તાઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, તમે આટલી ગરમીમાં પણ જે પરસેવો પાડ્યો, તેનાથી મને કામ કરવાની પ્રેરણા મળી છે.

આ આશીર્વાદ માટે તમામ દેશવાસીઓનો ઋણી : મોદી
આ આશીર્વાદ માટે તમામ દેશવાસીઓનો ઋણી છું. આજના પાવન દિવસે સતત ત્રીજી વાર સરકાર બનવી નિશ્ચિત છે. આપણે બધાં જનતા જનાર્દનના ખૂબ જ આભારી છીએ. દેશવાસીઓએ ભાજપ અને એનડીએ પર પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે. આજની આ જીત દુનિયાના સૌથી મોટા લોકતંત્રની જીત છે. આ ભારતના બંધારણ પર અતૂટ નિષ્ઠાની જીત છે. આ વિકસિત ભારતની જીત છે. આ સબ કા સાથ, સબ કા વિશ્વાસના મંત્રની જીત છે. 140 લોકોની જીત છે.હું આજે દેશના ચૂંટણી પંચને પણ અભિનંદન આપીશ. ચૂંટણી પંચે દુનિયાનાં સૌથી મોટી ચૂંટણી સફળતાપૂર્વક સંપન્ન કરાવી. આશરે 100 કરોડ મતદાર, દોઢ કરોડ મતદાનકર્મી, 53 લાખ EVM સાથે પ્રચંડ ગરમીમાં પોતાની જવાબદારીઓ નિભાવી. આપણા સુરક્ષાકર્મીઓએ કર્તવ્યભાવનો શાનદાર પરિચય કરાવ્યો. આ ચૂંટણી પ્રક્રિયા પર દરેક ભારતીયને ગર્વ છે. આવું દુનિયામાં ક્યાંય બીજે ઉદાહરણ જોવા મળતું નથી. આ ભારતીય ચૂંટણી પ્રક્રિયાની તાકાત છે. આ ખૂબ જ ગૌરવનો વિષય છે, જે ભારતની ઓળખને ચાર ચાંદ લગાવી દે છે. આપણે વિશ્વ સમક્ષ ગર્વથી આ પ્રસ્તુત કરવું જોઈએ.

જમ્મુ-કાશ્મીરના મતદારોના ઉત્સાહને પણ બિરદાવ્યો

જમ્મુ-કાશ્મીરના મતદારોએ આ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન કરીને અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો. સાથે જ ભારતને બદનામ કરનારી તાકાતને અરીસો બતાવ્યો. આ માટે હું જનતા જનાર્દનને આદરપૂર્વક નમન કરું છું. તમામની સક્રિય ભાગીદારી વિના લોકતંત્રની આ વિરાટ સફળતા શક્ય નથી. ભાજપના, NDAના તમામ કાર્યકરને પણ હું ધન્યવાદ આપું છું. આ જનાદેશના અનેક પાસાં છે. 1962 પછી પહેલીવાર કોઈ સરકાર પોતાના બે કાર્યકાળ પૂરા કર્યા પછી ત્રીજી વાર પાછી આવી રહી છે.

પ્રભુ જગન્નાથની ધરતી પર ભાજપનો મુખ્યમંત્રી હશે
અરુણાચલ, સિક્કિમ અને ઓડિશા સહિતના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ-NDAએ સારો દેખાવ કર્યો. ઓડિશામાં, પ્રભુ જગન્નાથની ધરતી પર પહેલીવાર ભાજપનો મુખ્યમંત્રી હશે. આ રાજ્યોમાં પણ ભાજપ કોઈ કસર નહીં છોડે.

નીતિશ કુમાર અને ચંદ્રાબાબુને પણ PM મોદીએ યાદ કર્યા
ભાજપે કેરળમાં પણ એક બેઠક જીતી. અમારા કેરળના કાર્યકરોએ ઘણાં બલિદાન આપ્યા છે. અનેક પેઢીઓથી તેઓ સંઘર્ષની સાથે લોકોની સેવા પણ કરતા રહ્યા. પેઢીઓથી જે ક્ષણની તે રાહ જોતા હતા, તેમને આજે સફળતા મળી છે. તેલંગાણામાં પણ અમારી સંખ્યા બમણી થઈ ગઈ છે. ગુજરાત, છત્તીસગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ જેવા અનેક રાજ્યોમાં અમારા પક્ષે લગભગ ક્લિન સ્વિપ કર્યું છે. આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વમાં અને બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએએ ઉત્તમ દેખાવ કર્યો છે.

દેશ નિરાશાની ગર્તામાં હતો ત્યારે અમને જનાદેશ અપાયો હતો
દસ વર્ષ પહેલા દેશમાં પરિવર્તન માટે જનાદેશ આપ્યો હતો. એ સમયે દેશ નિરાશાની ગર્તામાં ડૂબી ગયો હતો. યુવા પેઢી તેમના ભવિષ્ય માટે આશંકિત હતી. એવા સમયે જનતાએ અમને નિરાશામાંથી બહાર નીકળવાનું કામ સોંપ્યું હતું. ત્યાર પછી અમને પ્રચંડ જનાદેશ મળ્યો અને એનડીએનો બીજો કાર્યકાળ વિકાસ તરફ આગળ વધ્યો. 2024માં આ જ રીતે અમે દેશના ખૂણે ખૂણે ગયા. આજે ત્રીજી વાર જે આશીર્વાદ એનડીએને મળ્યો છે, હું તેની સામે જનતા જનાર્દન સામે, વિજયી ભાવથી નતમસ્તક છું.

PM મોદીએ માતા હીરાબાનો પણ ઉલ્લેખ કર્યો
આજનો આ જનાદેશ મારા માટે વ્યક્તિગત રીતે પણ ભાવુક ક્ષણ છે. મારી માતાના ગયા પછી આ મારી પહેલી ચૂંટણી હતી, પરંતુ સાચું માનો. દેશની કરો઼ડો માતા, બહેનોએ મને તેની કમી મહેસૂસ ના થવા દીધી. મને અભૂતપૂર્વ સ્નેહ અને આશીર્વાદ મળ્યા. દેશના ઈતિહાસમાં મહિલાઓ દ્વારા મતદાનના બધા રેકોર્ડ તૂટી ગયા. આ વખતે આ પોતીકાપણાંને હું શબ્દોમાં વર્ણવી નહીં શકું.

જનકલ્યાણ યોજનાઓના કારણે અમને ફરી જનાદેશ મળ્યો

આઝાદીના 70 વર્ષ પછી 12 કરોડ લોકોને નળથી જળ સહિતની અનેક જનકલ્યાણ યોજનાઓ ચલાવી. કરોડો ગરીબોને પાકા ઘર મળ્યા. 80 કરોડ લોકોને મફત રાશનની સુવિધા મળી. કરોડો ગરીબોને મફત સારવારની સુવિધા મળી. આ જ ભાવનાના કારણે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટી શકી. GST સુધારા કર્યા. કોરોના સંકટ વખતે પણ જનહિતમાં નિર્ણયો લીધા. આ કારણથી આજે ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આ કારણથી અમને ફરી જનાદેશ મળ્યો છે. અમે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે, જેમાં એસસી, એસટીની સંખ્યા વધુ છે. અમે ત્યાં સુધી નહીં અટકીએ જ્યાં સુધી ગરીબી નાબૂદ નહીં થાય.