વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શોઃ અનેક વિકાસકાર્યોની ભેટ

વડોદરાઃ ઓપરેશન સિંદૂર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ઓપરેશન સિંદૂર બાદ PM મોદી સૌપ્રથમ વાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે આજે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી રહી છે. લોકો રસ્તાની બંને બાજુ દેશનો તિરંગો લઈને ઊભા છે. લોકોએ PM મોદી પર ફૂલોની વર્ષા કરી છે.  PM  મોદીની સિંદૂર યાત્રાને લઈને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાઇદી વહોરા સમાજે પણ ઉત્સાહ સાથે તેનું સ્વાગત કર્યું છે.

વડોદરામાં યાત્રાના રૂટ પર ઠેર-ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો સિંદૂર સન્માન યાત્રામાં જોડાયા છે. આ યાત્રા દરમ્યાન PM રૂ. 82,000 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

આ ઉપરાંત PM મોદી આજે દાહોદમાં ખરોડ ખાતે  રેલવે  સહિત વિવિધ વિભાગોના રૂ.24,000 કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે. ભૂજમાં વડા પ્રધાનને હસ્તે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, ત્યાર બાદ સાંજે અમદાવાદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 27મી મેએ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી રૂા.5536 કરોડના પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ ઉપરાંત ગાંધીધામમાં સેન્ટર આલ્ફ એક્સેલન્સ, માતાના મઢના મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે. ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી ટ્રાન્સમિશન સિસ્ટમ, ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભૂજથી નખત્રાણા સુધી લેન હાઈ સ્પીડ કોરિડોર, ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં ત્રણ રોડ ઓવર બ્રિજનું નિર્માણ, ધોળાવીરામાં પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો સમાવેશ થાય છે.

દાહોદમાં વડાપ્રધાન મોદી 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે. આ ઉપરાંત આણંદ – ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ -હડમતીયા રેલ લાઈનના ડબલિંગ કામ, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનનાં કામો સહિત કુલ રૂા. 23,292 કરોડનાં કામોનું લોકાર્પણ સંપન્ન કરાશે. મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે રૂા. 181 કરોડના પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે.

દાહોદમાં નરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત જનસુવિધા અને જનસુખાકારીના વિકાસ કામો જનસમર્પિત કરશે. વડોદરા જિલ્લામાં સાવલી-ટીંબા માર્ગને ચાર માગીય બનાવવા, કાયાવરોહણ-સાપલી માર્ગ, જરોદ-સમલાયા માર્ગને પહોળા કરવા તેમજ પદમલા-રણોલી માર્ગ પર નવા બ્રિજના કુલ રૂ. 581 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.