નવી દિલ્હીઃ ICCએ પાકિસ્તાન સરકાર દ્વારા પોતાની ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામેની મેચ બોયકોટ કરવાનો નિર્દેશ આપવાના નિર્ણય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને આ પગલાને વૈશ્વિક રમતગમત સ્પર્ધાના સિદ્ધાંતો વિરુદ્ધ ગણાવ્યું છે.
ICCએ પાકિસ્તાનને સંકેતોમાં પરિણામોની ચેતવણી આપી
ICCએ જણાવ્યું હતું કે તે આ મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી હજુ પણ ઔપચારિક વાતચીતની રાહ જોઈ રહ્યું છે. ICCએ એ બાબત પર ભાર મૂક્યો કે ટુર્નામેન્ટમાં પસંદગીપૂર્વક ભાગ લેવા અંગેનો અભિગમ સ્વીકાર્ય નથી.
પાકિસ્તાન સરકારે પોતાની રાષ્ટ્રીય ટીમને ટુર્નામેન્ટમાં ભાગ લેવા મંજૂરી આપી છે, પરંતુ તેમને ભારત સામેના ગ્રુપ-સ્ટેજ મેચમાં મેદાન પર ન ઊતરવાનો નિર્દેશ આપ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. ICCએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમને PCB તરફથી સત્તવાર માહિતી પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તે આશા રાખે છે કે તમામ મેચો નક્કી કરાયેલા શેડ્યુલ મુજબ જ રમાશે. ICCએ એ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાનનો આ નિર્ણય વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે યોગ્ય નથી, જેમાં પાકિસ્તાનના લાખો સમર્થકો પણ સામેલ છે.
ICCની ગવર્નિંગ બોડીએ PCBને દેશના ક્રિકેટ પર આ સ્થિતિના મહત્વપૂર્ણ અને દીર્ઘકાલીન પ્રભાવ વિશે ગંભીરતાથી વિચારવા અપીલ કરી છે. ICCએ કહ્યું હતું કે આ મુદ્દાની વૈશ્વિક ક્રિકેટ ઇકોસિસ્ટમ પર મોટી અસર પડી શકે છે, જેમાં પાકિસ્તાન એક સભ્ય અને લાભાર્થી બંને રૂપે જોડાયેલું છે.
ICCએ વધુમાં જણાવ્યું કે તેમની પ્રાથમિકતા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ને સફળતાપૂર્વક આયોજિત કરવાની છે, જે PCB સહિત તમામ સભ્યોની જવાબદારી પણ છે. તેમને આશા છે કે PCB તમામ સ્ટેકહોલ્ડર્સનાં હિતોની રક્ષા થાય એવો પરસ્પર સંમતિનો ઉકેલ શોધશે.




