શિલોંગ: મેઘાલયમાં રાજા રઘુવંશીની હત્યામાં સહાય કરનારા ત્રણ આરોપીઓમાંથી બે આરોપી તેમના અગાઉનાં નિવેદનમાંથી ફરી ગયા છે અને મેજિસ્ટ્રેટ સમક્ષ કોઈ પણ નિવેદન આપવાનો ઈનકાર કર્યો છે. શિલોંગના SP હર્બર્ટ પિનિયાડ ખારકોંગોરે જણાવ્યું હતું કે આકાશ રાજપૂત અને આનંદ કુર્મીને ગુરુવારે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા, પરંતુ બંને ચૂપ રહ્યા હતા અને કોઈ પણ નિવેદન આપ્યું નહીં.
પોલીસનો દાવો છે કે તેમના પાસે પૂરતા પુરાવા છે. SPના કહેવા પ્રમાણે પાંચમાંથી માત્ર બે આરોપીઓને મેજિસ્ટ્રેટ પાસે રજૂ કરવામાં આવ્યા હતા અને અમે ફોરેન્સિક રિપોર્ટની પણ રાહ જોઈ રહ્યા છીએ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 180 હેઠળનાં નિવેદનો તપાસ માટે ઉપયોગી થાય છે, પરંતુ કલમ 183 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ આપવામાં આવેલાં નિવેદનો જ કાયદેસર રીતે માન્ય ગણાય છે.
આનંદ અને આકાશ પર સોનમ અને રાજને મદદ કરવાનો આરોપ છે. વિશાલ સિંહ ચૌહાણ સાથે મળીને ત્રણેયે સોનમ અને તેના પ્રેમી રાજ કુશવાહની મદદથી હનીમૂન દરમિયાન તેના પતિ રાજા રઘુવંશીની હત્યા કરી હતી. રાજા રઘુવંશી અને સોનમનાં 11 મેએ ઇન્દોરમાં લગ્ન થયાં હતાં. રાજ સોનમના કુટુંબની ફર્નિચર શીટ કંપનીમાં એકાઉન્ટન્ટ હતો અને તેમનો સંબંધ પહેલેથી હતો.
પોલીસે જણાવ્યું કે એક વાહનમાંથી એક ગન, કારતૂસ અને રૂ. 50,000 મળી આવ્યા છે. રાજ અને આકાશે બેગમાં હથિયાર છુપાવ્યાનો ખુલાસો કર્યો હતો. તેમનો દાવો છે કે લેપટોપ ફેંકી દીધું હતું પણ પોલીસ તપાસ દ્વારા જાણવા માગે છે કે એ ખરેખર ક્યાં છે – કે ફેંકી દીધું છે કે ક્યાંક છુપાવેલું છે.
ઈન્દોરથી લગ્ન પછી બંને મેઘાલય હનીમૂન પર ગયા હતા. 23 મેએ તેઓ નોનગ્રીયાટ ગામના એક હોમસ્ટેમાંથી ચેકઆઉટ થયા બાદ ગુમ થઈ ગયા હતા અને રાજાનું શબ 2 જૂને મળ્યું હતું.
