વિજય દિવસઃ કારગિલથી પાકિસ્તાનને PM મોદીની ચેતવણી

નવી દિલ્હીઃ કારગિલ વિજય દિવસની રજત જયંતીના પ્રસંગે દેશમાં ઉજવણીનો માહોલ છે. કારગિલમાં 24 જુલાઈથી જ ઉજવણી જારી છે અને વડા પ્રધાન મોદી પણ આ ઉજવણીના અવસરે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા તેઓ કારગિલના દ્રાસ પહોંચ્યા છે.

વર્ષ 1999માં પાકિસ્તાનની વિરુદ્ધ થયેલી ભારતના ઐતિહાસિક વિજયની રજત જયંતી પર PM મોદી કારગિલ યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા. તેમણે અહીં વોર મેમોરિયલની મુલાકાત પણ લીધી હતી. લદ્દાખ પહોંચેલા મોદીએ અહીં કેટલાક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરવાના છે. આ સિવાય સંસદના બજેટ સત્રનો પાંચમો દિવસ છે, જેમાં બજેટ પર ચર્ચા જારી છે.

વડા પ્રધાન મોદીએ કારગિલથી પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે પાકિસ્તાનના નાપાક ઇરાદા ક્યારેય સફળ નહીં થાય. 1999ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં દેશભરમાં કારગિલ દિવસ ઊજવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન ભૂતકાળમાં તેણે ગમે તેટલા પ્રયત્નો કર્યા, તે હંમેશાં પરાજય પામ્યું છે પરંતુ પાકિસ્તાન તેના ઈતિહાસમાંથી કંઈ શીખ્યું નથી. તે આતંકવાદ અને પ્રોક્સી વોરની મદદથી પોતાની જાતને સુસંગત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ આજે જ્યારે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં આતંકના માલિકો મારો અવાજ સીધો સાંભળી શકે છે. હું આતંકવાદના આ સમર્થકોને કહેવા માગું છું કે તેમના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય.

કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર ગુરુવારે લામોચેન (દ્રાસ)માં એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કારગિલ યુદ્ધના નાયકોની શૌર્યગાથા વર્ણવવામાં આવી હતી. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી મુખ્ય અતિથિ હતા. સેનાના ઉત્તરી કમાન્ડના તમામ મુખ્ય અધિકારીઓ પણ હાજર હતા.

આ કાર્યક્રમની શરૂઆત માઇક્રોલાઈટ નોડ ગયાના ફ્લાઇંગ રેબિટ્સના ફ્લાયપાસ્ટથી થઈ હતી. કારગિલ યુદ્ધની ઘટનાઓના ઓડિયો વિઝ્યુઅલ વગાડવામાં આવ્યા હતા. તેમાં કારગિલ યુદ્ધની આખી વાર્તા કહેવામાં આવી હતી. ભયંકર પર્વતની પૃષ્ઠભૂમિના આબેહૂબ વર્ણનોએ દરેક યુદ્ધ દ્રશ્યને જીવંત બનાવ્યું હતું.