કોરોનાના કેસોની સંખ્યા 71 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 71 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 66,732 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 816 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 71,20,538 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,09,150 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 61,49,535 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 71,559 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,61,853 પહોંચી છે. રિકવરી રેટ વધીને 86.36 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.53 ટકા થયો છે.

કોરોના વાઇરસના વ્યક્તિઓથી પ્રાણીઓમાં ફેલાયો

કોવિડ-19થી તબાહીની વચ્ચે અમેરિકાના ફર ફાર્મ્સમાં લગભગ 10,000 અમેરિકન જળ બિલાડી(મિંક)ને મારી નાખવામાં આવી છે. આ ઘટના બાદ નિષ્ણાતો કોરોના વાઇરસના વ્યક્તિઓથી પ્રાણીઓમાં ફેલાવાનો દાવો કરી રહ્યા છે. આ અમેરિકન જળબિલાડી ઉટાહ અને વિસકોન્સિનમાં આવેલા ફર ફાર્મ્સમાં મૃત મળી આવી છે.

એક રિપોર્ટ પ્રમાણે એકલા ઉહાટમાં જ અંદાજે 8000 અમેરિકન જળબિલાડીનાં મોત થયા છે. આ સમસ્યા માત્ર ઉટાહ સુધી સીમિત નથી. વિસ્કોન્સિનમાં અધિકારીઓએ કહ્યું કે અહીં પણ લગભગ 2000 મિંક કોરોના વાઇરસની ઝપટમાં છે. આ પહેલાં નેધરલેન્ડ, સ્પેન અને ડેનમાર્કમાં પણ આ પ્રકારના કિસ્સા સામે આવી ચૂકયા છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરની ‘નેશનલ વેટરનરી સર્વિસ લેબોરેટરી’એ પણ ડઝનબંધ પ્રાણીઓમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ કરી હતી. રિપોર્ટ પ્રમાણે તેમાં કૂતરા, બિલાડી, વાઘ અને સિંહ જેવા પ્રાણીઓમાં કોવિડ-19થી સંક્રમિત થયાની વાત કહી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.