મોરબીઃ પેટા ચૂંટણી પહેલાં કોંગ્રેસી નેતાઓને રાહત

અમદાવાદઃ રાજ્ય સરકારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા વિરુદ્ધ ટંકારામાં થયેલો કેસ પરત ખેંચ્યો છે. ટંકારામાં 2017માં મંજૂરી વગર જાહેર સભા અંગે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જાહેરનામા ભંગ બદલ 34 લોકો પર કેસ કર્યો હતો. જે પૈકી બે આરોપીઓનાં મોત થયાં છે અને બે આરોપીઓ દંડ ભરીને છૂટી ગયા હતા. આ કેસ અંગે જુલાઈ 2018માં પોલીસે ટંકારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ પહેલાં પણ 2018માં કોર્ટે હાર્દિક પટેલ, લલિત વસોયાને હાજર રહેવાના સમન્સ પાઠવ્યા હતા, પરંતુ હાર્દિક પટેલ, વસોયા અને અન્ય નેતાઓ હાજર ન રહેતાં કોર્ટે નોન-બેલેબલ વોરન્ટ ઇશ્યુ કર્યાં હતાં.

સરકારી વકીલ કેસ પાછો ખેંચવાના કાગળો લઈ ટંકારા કોર્ટ પહોંચ્યા હતા. કાગળો કોર્ટમાં રજૂ કરતાં હવે આ કેસ નહીં ચાલે, ત્યારે મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસી નેતાઓને મોટી રાહત મળી છે. ટંકારામાં 2017માં મંજૂરી વગર કરેલી જાહેર સભાનો કેસમાં કોર્ટે કેસ પાછા ખેંચવાની મૌખિક સૂચનાને પગલે કોંગ્રેસી નેતાઓને રાહત મળી રહી છે. સત્તાવાર પત્ર બાદ કેસ પાછો ખેંચાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

હાઈકોર્ટની સૂચનાને પગલે આજે ટંકારા કોર્ટનું તેડું આવતાં કોંગ્રેસના લલિત વસોયા અને લલિત કગથરા જેવા નેતાઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. 2015માં શરૂ થયેલા આંદોલનથી ભેગા થયેલા તમામ નેતાઓ સામે આ કેસ નોંધવામાં આવ્યો હતો. 2017ની ચૂંટણી પહેલાં આ નેતાઓ ભાજપ સામે પ્રચાર કરતા હતા, એ વખતનો કેસ છે. ચૂંટણીના પ્રચાર માટે જ ભેગા થયેલા કોંગ્રેસના નેતાઓ પર મંજૂરી વગર સભા કરવાનો કેસ થયો હતો. 2017માં મંજૂરી વગર સભા કરવાના કેસમાં ટંકારાની કોર્ટે કોંગ્રેસ-પાસના આગેવાનોને તેડું મોકલ્યું હતું. જોકે સરકારે આ કેસ પરત ખેંચતાં મોટી રાહત મળી છે.