નેતાઓના ભડકાઉ ભાષણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ ભડકાઉ ભાષણ આપનારા ભાજપના નેતાઓ કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પરવેશ વર્મા વિરુદ્ધનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દિલ્હી હિંસાના પીડિતોએ ભડકાઉ ભાષણ આપવાના આરોપી ભાજપા નેતાઓ વિરુદ્ધ ગત સપ્તાહે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આમાં ભડકાઉ ભાષણ આપવાના મામલે આરોપી ત્રણેય નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ અરજી પર બુધવારના રોજ સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ કહ્યું કે, અમે આવા મામલાઓને રોકી ન શકીએ. કોર્ટ સુનાવણી બાદ સ્થિતિને પહોંચી શકે છે. અમે શાંતિની અપીલ અને અપેક્ષા રાખીએ છીએ.

અરજીકર્તા દ્વારા ચીફ જસ્ટિસને જણાવવામાં આવ્યું કે, હર્ષ મંદર અને પાંચ પીડિતો દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં દિલ્હી હાઈકોર્ટના મામલાને 13 એપ્રીલ સુધી ટાળવાનો પડકાર આવપવામાં આવ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે, આ મામલે જલ્દી સુનાવણીની જરુર છે. રોજ લોકો મોતને ભેટી રહ્યા છે. સત્તાધારી પાર્ટીના લોકોએ હિંસા ભડકાવનારા નિવેદનો આપ્યા છે.

અરજીકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે, કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પરવેશ વર્મા અને અન્ય તમામ વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવે જે હેટ સ્પીચ, તોફાનોમાં લિપ્ત હતા. તોફાનોની તપાસ કરવા માટે દિલ્હીની બહારના અધિકારીઓની એસઆઈટી ટીમનું ગઠન કરવામાં આવે. કાયદો-વ્યવસ્થા બનાવી રાખવા માટે સેનાને તેનાત કરવામાં આવે. પોલીસની ભૂમિકાની તપાસ કરવા માટે રિટાયર જસ્ટિસની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવે.

આ સિવાય, અરજીમાં પીડિતોને અસાધારણ વળતર આપવા, પોલીસ અને અર્ધસૈનિક દળો દ્વારા પકડવામાં આવા વ્યક્તિઓનું આખું લિસ્ટ સાર્વજનિક કરવા, તોફાન પ્રભાવિત ક્ષેત્રોના તમામ સીસીટીવી ફૂટેજને સંરક્ષિત કરવા, પોસ્ટમોર્ટમ રિપોર્ટ પીડિતોના પરિવારોને તુરંત આપવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે.