રૂ.2000ની નોટ બંધ કરોઃ સુશીલ મોદીની માગણી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે ચલણમાં લાગુ કરેલી 2,000ના મૂલ્યની નોટ વ્યવહારમાંથી બંધ કરવાની ભારતીય જનતા પાર્ટીના જ સંસદસભ્યએ માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, રૂ. 2000ની નોટ મોદી સરકારે 2016ના નવેમ્બરની 9 તારીખની મધરાતથી દેશભરમાં નોટબંધી લાગુ કર્યા બાદ ચલણમાં મૂકી હતી. હવે ભાજપના જ સંસદસભ્ય સુશીલકુમાર મોદીએ માગણી કરી છે કે આ નોટને બંધ કરવી જોઈએ. મોદી સરકારે દેશમાં નકલી ચલણી નોટોના કૌભાંડો બંધ કરાવવા અને આતંકવાદીઓને જબ્બર ફટકો મારવા માટે રૂ. 500 અને રૂ. 1000ના મૂલ્યવાળી ચલણી નોટો વ્યવહારમાંથી પાછી ખેંચી લીધી હતી અને રૂ. 2000ના નવા મૂલ્યવાળી નોટ આણી હતી. મોદી સરકારના નોટબંધીના નિર્ણય સામે દેશમાં ઘણાએ નારાજગી અને વિરોધ દર્શાવ્યો હતો અને રૂ.2000ની નોટ અંગે પણ અનેક લોકોએ વિરોધ દર્શાવ્યો હતો.

બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુશીલકુમાર મોદીએ રાજ્યસભામાં 2000ની નોટ બંધ કરવાનો મુદ્દો રજૂ કર્યો હતો. એમણે કહ્યું કે, 2,000ની નોટનો ઉપયોગ ગુનેગારી કરાવવા અને ગેરકાયદેસર વ્યાપારમાં મોટા પાયે ઉપયોગ કરાતો હોવાને કારણે સરકારે તેની છપાઈ તબક્કાવાર ઘટાડી દીધી છે. હવે આ ગુલાબી રંગની નોટ બજારમાં ભાગ્યે જ દેખાય છે. એટીએમ મશીનોમાં પણ આ નોટ મળતી નથી. આ નોટ ચાલતી નથી એવી પણ ચર્ચા ચાલી રહી છે તો સરકારે આ બાબતમાં સ્પષ્ટતા કરવી જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય રીઝર્વ બેન્કે 2,000ના મૂલ્યની નકલી નોટ મોટા પ્રમાણમાં જપ્ત કરી છે. કેટલેક ઠેકાણે તેના કાળાબજાર કરાય છે. આ નોટ કેફી દ્રવ્યોની દાણચોરી, મની લોન્ડરિંગ અને આતંકવાદ માટેનું ભંડોળ એકઠું કરવા માટે વપરાય છે. દુનિયામાં તમામ વિકસીત દેશોમાં મોટી રકમની નોટો ચલણમાંથી બંધ કરી દેવામાં આવી છે. અમેરિકામાં સૌથી વધુ 100 ડોલરની નોટ છે. ઓસ્ટ્રેલિયા અને યૂરોપીયન યૂનિયન દેશોમાં પણ સૌથી મોટી રકમની નોટ 200ની છે.