પાણી મુદ્દે દિલ્હી સરકારને SC તરફથી ફટકો, કોર્ટે હસ્તક્ષેપ કરવાનો કર્યો ઇનકાર..

પડોશી રાજ્યો પાસેથી વધુ પાણીની માંગણી સુપ્રીમ કોર્ટમાં પહોંચતા દિલ્હી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો આદેશ આપવાનો ઈન્કાર કરી દીધો છે અને નિર્ણય અપર યમુના રિવર બોર્ડ પર છોડી દીધો છે.

કોર્ટે કહ્યું કે રાજ્યો વચ્ચે પાણીની વહેંચણીનો મુદ્દો જટિલ છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશે પણ વધારાનું પાણી મોકલવાના તેના અગાઉના નિવેદનને પાછું ખેંચ્યું છે અને કહ્યું છે કે તેની પાસે વધારાનું પાણી નથી.

જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને પ્રસન્ના બી વરાલેની બેન્ચે કહ્યું કે યમુનાના પાણીની રાજ્યો વચ્ચે વહેંચણી એ એક જટિલ વિષય છે અને આ કોર્ટ પાસે ટેકનિકલ કુશળતા નથી. કોર્ટે કહ્યું કે આ મુદ્દો UYRB પર છોડવો જોઈએ. સુપ્રીમ કોર્ટે UYRBને શુક્રવારે તમામ પક્ષકારોની બેઠક બોલાવવા અને આ મુદ્દે ઝડપથી નિર્ણય લેવા જણાવ્યું હતું. ઉપરાંત દિલ્હી સરકારને માનવતાના આધાર પર વિચારણા માટે સાંજે 5 વાગ્યા સુધીમાં બોર્ડ સમક્ષ અરજી સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

હિમાચલે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું

દિલ્હી માટે વધારાનું 136 ક્યુસેક પાણી આપવાનું વચન આપનારી હિમાચલ સરકારે પણ પોતાનું વલણ બદલી નાખ્યું છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે હિમાચલ પ્રદેશ દ્વારા તેના અગાઉના નિવેદનને પાછું ખેંચ્યું હતું અને કહ્યું હતું કે તેની પાસે વધારાનું 136 ક્યુસેક પાણી નથી.

દિલ્હી સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી જેમાં એવી માગણી કરવામાં આવી હતી કે હરિયાણાને હિમાચલમાંથી છોડવામાં આવતા વધારાના પાણીને દિલ્હી સુધી વિના અવરોધે પહોંચવા દેવાનું કહેવામાં આવે. આકરી ગરમી વચ્ચે દિલ્હીમાં લોકો પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. દિલ્હી સરકારનો આરોપ છે કે હરિયાણા યમુનામાં ઓછું પાણી છોડી રહ્યું છે જેના કારણે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા ઘટી ગઈ છે.