RSS ચીફ મોહન ભાગવતે ઇસ્લામ ધર્મ વિશે કેમ કહી આ વાત?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ઈસ્લામ અને ઈસાઈ ધર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જેવા ધર્મોની ભલાઈ અને માનવતા અપનાવવી જોઈએ. દરેક ધર્મના અનુયાયીઓએ એકબીજાને ભાઈ-બહેન તરીકે માન આપવું જોઈએ.

મોહન ભાગવતે નાગપુરમાં કહ્યું, “ભારતીય સમાજ વૈવિધ્યસભર છે, પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે તે એક સમાજ છે અને તેઓ તેની વિવિધતાને પણ સ્વીકારે છે. બધાએ એક થઈને આગળ વધવું જોઈએ અને એકબીજાની પૂજા પદ્ધતિનો આદર કરવો જોઈએ.

મોહન ભાગવતે શું કહ્યું?

મોહન ભાગવતે કહ્યું કે હજારો વર્ષોથી ચાલી રહેલા અન્યાયને કારણે લોકો વચ્ચે અંતર છે. તેમણે વધુમાં કહ્યું કે, આક્રમણખોરો ભારતમાં આવ્યા અને તેમની વિચારધારા પોતાની સાથે લઈને આવ્યા, જેને કેટલાક લોકોએ અનુસર્યા, પરંતુ આ સારી વાત છે કે આ વિચારધારાથી દેશની સંસ્કૃતિને કોઈ અસર થઈ નથી.

રેશમબાગમાં ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવન સંકુલમાં સંગઠનના ‘કાર્ત્યકર્તા વિકાસ વર્ગ-2’ના સમાપન કાર્યક્રમમાં આરએસએસના તાલીમાર્થીઓના મેળાવડાને સંબોધતા મોહન ભાગવતે કહ્યું કે અલગ-અલગ સ્થળો અને સમાજમાં સંઘર્ષ સારો નથી.

જ્ઞાતિવાદ વિશે શું કહ્યું?

ભાગવતે કહ્યું કે દરેક વ્યક્તિએ એમ માનીને આગળ વધવું જોઈએ કે આ દેશ આપણો છે અને આ ધરતી પર જન્મેલા તમામ લોકો આપણા પોતાના છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભૂતકાળને ભૂલી જવું જોઈએ અને દરેકને પોતાના તરીકે સ્વીકારવું જોઈએ.

ભાગવતે વધુમાં કહ્યું કે જાતિવાદને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવો જોઈએ. તેમણે RSSના અધિકારીઓને સમાજમાં સામાજિક સમરસતા માટે કામ કરવા કહ્યું.