પ્રજાસત્તાક દિવસ-2021 પરેડમાં જોવા મળશે રામમંદિરની ઝાંખી

નવી દિલ્હીઃ આવતી 26 જાન્યુઆરીએ દેશના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં યોજાનાર વાર્ષિક પરેડમાં પવિત્ર નગરી અયોધ્યામાં બંધાઈ રહેલા રામમંદિરની ખ્યાતિ અને ભવ્યતાની ઝાંખી રજૂ કરવામાં આવશે. રામમંદિરનો ટેબ્લો ઉત્તર પ્રદેશ સરકારના માહિતી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે.

આ ઝાંખીને અયોધ્યાઃ ઉત્તર પ્રદેશનો સાંસ્કૃતિક વારસો શિર્ષક આપવામાં આવ્યું છે. તેમાં અયોધ્યા અને ભગવાન શ્રીરામ સંબંધિત સંસ્કૃતિ, પરંપરા અને કળાને પ્રદર્શિત કરવામાં આવશે. રામમંદિરનું બાંધકામ અયોધ્યામાં શરૂ થઈ ગયું છે.

ઉત્તર પ્રદેશ સરકારે પ્રજાસત્તાક દિન પરેડમાં અયોધ્યાના રામમંદિરનો ટેબ્લો રજૂ કરવા વિશેનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલ્યો હતો, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.