તિમોર-લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે વડા પ્રધાનની બેઠક

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. તેમણે આ દરમ્યાન પહેલા દિવસે ગાંધીનગરમાં  તિમોર-લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ રામોસ-હોર્ટા સાથે દ્વિપક્ષી બેઠક કરી હતી. વડા પ્રધાન ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદઘાટન કરશે.

તિમોર-લિસ્ટેના રાષ્ટ્રપ્રમુખ ડો. જોસ રામોસ હોર્ટા 8-10 જાન્યુઆરી, 2024 દરમિયાન ગાંધીનગરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ હોર્ટા આજે ગાંધીનગરમાં મળ્યા હતા. વડા પ્રધાને રાષ્ટ્રપતિ હોર્ટા અને તેમના પ્રતિનિધિમંડળને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉષ્માસભર આવકાર આપ્યો હતો, જે બંને દેશો વચ્ચે સૌપ્રથમ વાર રાજ્યના વડા કે સરકારી સ્તરની મુલાકાત છે. પ્રધાનમંત્રીએ જીવંત “દિલ્હી-દીલી” જોડાણનું નિર્માણ કરવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. સપ્ટેમ્બર 2023માં, તેમણે દેશમાં ભારતીય મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ક્ષમતા નિર્માણ, માનવ સંસાધન વિકાસ, આઇટી, ફિનટેક, ઊર્જા અને પરંપરાગત ચિકિત્સા અને ફાર્મા સહિત હેલ્થકેરમાં તિમોર-લેસ્ટેને સહાયની ઓફર કરી હતી. તેમણે તિમોર-લેસ્ટને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ) અને કોએલિશન ફોર ડિઝાસ્ટર રેસિલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ)માં જોડાવા આમંત્રણ પણ આપ્યું હતું.

તેમણે તિમોર-લેસ્ટને તેના 11માં સભ્ય તરીકે સ્વીકારવાના આસિયાનના સૈદ્ધાંતિક નિર્ણય બદલ રાષ્ટ્રપતિ હોર્ટાને અભિનંદન પાઠવ્યા હતા અને ટૂંક સમયમાં જ સંપૂર્ણ સભ્યપદ પ્રાપ્ત કરવાની આશા વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રપતિ હોર્ટાએ સમિટમાં સહભાગી થવાનું આમંત્રણ આપવા બદલ વડા પ્રધાનનો આભાર માન્યો હતો. તેમણે ભારતની વિકાસલક્ષી પ્રાથમિકતાઓ પૂર્ણ કરવા, ખાસ કરીને આઇટીમાં હેલ્થકેર અને ક્ષમતા નિર્માણનાં ક્ષેત્રોમાં, ભારત પાસેથી ટેકો માગ્યો હતો.

બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિકમાં પ્રાદેશિક મુદ્દાઓ અને વિકાસ પર પણ ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ હોર્ટાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતા માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું. બંને નેતાઓએ બહુપક્ષી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સહકાર જાળવી રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. વડા પ્રધાને વોઇસ ફ ગ્લોબલ સાઉથ સમિટનાં બે સંસ્કરણોમાં તિમોર-લેસ્ટેની સક્રિય ભાગીદારીની પ્રશંસા કરી હતી. તેઓ સંમત થયા હતા કે વૈશ્વિક દક્ષિણના દેશોએ વૈશ્વિક મુદ્દાઓ પર તેમની સ્થિતિનો સમન્વય કરવો જોઈએ.

ભારત અને તિમોર-લેસ્ટે વચ્ચેના દ્વિપક્ષી સંબંધો લોકશાહી અને અનેકતાના સહિયારા મૂલ્યો સાથે જોડાયેલા છે. ભારત 2002માં તિમોર-લેસ્ટે સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરનાર પ્રથમ દેશોમાંનો એક હતો.