વડાપ્રધાન અને કેજરીવાલ વચ્ચે મુલાકાતઃ શું થઇ હશે વાત?

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, બન્ને વચ્ચે દિલ્હી હિંસા, કોરોનાવાયરસને પહોંચી વળવાની તૈયારીઓ અને હિંસા બાદ ફરીથી બધુ જેમનું તેમ વસાવવા મામલે ચર્ચા થઈ હતી. ગત મહિને વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ અને મુખ્યમંત્રી બન્યા બાદ કેજરીવાલ વડાપ્રધાન મોદીને પ્રથમવાર મળ્યા હતા. બન્ને નેતાઓની મુલાકાત આજે સંસદમાં થઈ હતી. આમ આદમી પાર્ટીએ દિલ્હી ચૂંટણીમાં 62 સીટો જીતી હતી. દિલ્હીમાં ગત સપ્તાહે થયેલી હિંસામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 47 પર પહોંચી ગઈ છે. આશરે 200 લોકો ઘાયલ થયા છે. તેમની દિલ્હીની વિભિન્ન હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

દિલ્હીની ચૂંટણીના પરિણામો બાદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ ટ્વીટર પર લખ્યું કે, માનનીય ગૃહમંત્રી સાથે સારી મુલાકાત થઈ. દિલ્હીના વિકાસ સાથે સંબંધિત ઘણા મુદ્દાઓ પર અમે ચર્ચા કરી.