મોદી-મુખ્યપ્રધાનો વચ્ચે આજે બેઠકઃ મોટા નિર્ણયોની શક્યતા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસના કેસો ફરી વધી ગયા છે અને લોકડાઉનની ભીતિ ઊભી થઈ છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે કોરોના મામલે ચર્ચા કરવા માટે આજે વર્ચ્યુઅલ બેઠક બોલાવી છે. આ બેઠકમાં મહત્ત્વના મોટા નિર્ણયો લેવામાં આવે એવી ધારણા રખાય છે.

આ બેઠક આજે બપોરે લગભગ 12.30 વાગ્યે યોજાશે. પીએમ મોદી અને મુખ્ય પ્રધાનો અન્ય વિષયો ઉપરાંત કોવિડ-19 રોગચાળાનો સામનો કરવા માટે રસીકરણ કાર્યક્રમને વધારે અસરકારક કેવી રીતે બનાવવો એ વિશે પણ ચર્ચા કરશે. વડા પ્રધાન મોદી આ પહેલાં પણ મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી અનેકવાર બેઠક કરી ચૂક્યા છે અને જાગતિક મહાબીમારીનો ફેલાવો રોકવા માટે વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી ચૂક્યા છે. ભારતમાં સામુહિક રસીકરણ કાર્યક્રમ હાલ બીજા તબક્કામાં પહોંચ્યો છે. 60 વર્ષથી વધુની વયના લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે. સોમવારે ભારતમાં કોરોનાના નવા 26,291 કેસ નોંધાયા હતા. છેલ્લા 85 દિવસોમાં કોઈ એક જ દિવસમાં કોરોના કેસનો નોંધાયેલો આ સૌથી મોટો આંકડો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 1,13,85,339 થયો છે. આ રોગચાળાથી અત્યાર સુધીમાં થયેલા મરણનો આંક 1,58,725 થયો છે. છેલ્લા 24 કલાકમાં 118 મરણ નોંધાયા હતા.

(તસવીર સૌજન્યઃ પીઆઈબી, આરોગ્ય મંત્રાલય ટ્વિટર)