PM મોદી ઝેરીલા સાપની જેમ છેઃ કોંગ્રેસ અધ્યક્ષનું વિવાદિત નિવેદન

કલબુર્ગીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન પર તીખો હુમલો કર્યો છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી એક ઝેરીલા સાપની જેમ છે. તેમણે કહ્યું હતું કે જો લોકો એને ચાટી લેશે તો તેઓ મરી જશે. મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી રાજ્ય કર્ણાટકમાં પોતાના ચૂંટણી ક્ષેત્ર કલબુર્ગીમાં ચૂંટણી સભામાં બોલી રહ્યા હતા.

કોંગ્રેસે હાલમાં ભાજપ સરકાર પર હુમલાઓ તેજ કરી દીધા છે. ગૃહપ્રધાન અમિત શાહની એક ટિપ્પણી પર કોંગ્રેસે સત્તાવાર ફરિયાદ નોંધાવી ચૂકી છે. ખડગેએ એક સભામાં કહ્યું હતું કે  PM મોદી એક ઝેરીલા સાપની જેમ છે. તમે વિચારી શકો છો કે એ ઝેર છે અથવા નહીં. જો તમે એને ચાટશો તો તમે મરી જશો. જોકે ખડગે પર પલટવાર કરતાં ભાજપે કહ્યું હતું કે કોંગ્રેસપ્રમુખ જે ટિપ્પણી કરી એ સોનિયા ગાંધીની મોતના સોદાગરવાળી ટિપ્પણીથી પણ બદતર છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે કોંગ્રેસે ખડગેને પાર્ટી અધ્યક્ષ બનાવ્યા, પરંતુ તેમનું નિવેદન સોનિયા ગાંધીના નિવેદનથી પણ ખરાબ છે.

ખડગેના નિવેદન પર કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ કહ્યું હતું કે ખડગેના મનમાં ઝેર છે. તેઓ વડા પ્રદાન મોદી અને ભાજપ પ્રત્યે પૂર્વાગ્રહથી ગ્રસિત મગજ છે. આ પ્રકારના વિચારો હતાશાને કારણે આવે છે, કેમ કે તેઓ રાજકીય રીતે લડવા માટે અસમર્થ છે અને તેઓ જોઈ રહ્યા છે કે જહાજ ડૂબી રહ્યું છે. લોકો તેમને સબક શીખવાડશે.