આજે જેલમાંથી બહાર આવેલા પી. ચિદમ્બરમ આવતીકાલે સંસદમાં…

નવી દિલ્હી: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને આઈએનએક્સ મિડીયા મની લોન્ડ્રિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. આ મામલે મિડીયા સાથે વાત કરતા તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે કહ્યુ હતું કે, મને ઘણો આનંદ થયો કે મારા પિતાને જામીન મળી ગયા અને હવે તો ઘરે પરત ફરશે. તેમને જાણીજોઈને રાજનીતિને કારણે ટાર્ગેટ બનાવવામાં આવ્યા. આ બધું સરકારની ટીકાના પરિણામે થયું. 2007નો કેસ 2017માં દાખલ કરવામાં આવી રહ્યો છે. ભાજપે જે કહેવું હોય તે કહે, અમે કોર્ટમાં જવાબ આપીશું. કાર્તિએ આગળ કહ્યું કે, પૂર્વ ગૃહમંત્રી આવતી કાલે એટલે કે ગુરુવારે 11 વાગ્યે સંસદમાં આવશે અને પહેલાની જેમ જ દરેક મુદ્દા પર બોલતા રહેશે.

યાદ રહે, પી. ચિદમ્બરમ તમિલનાડુથી રાજ્યસભાના સાંસદ છે.

પી. ચિદમ્બરમે 105 દિવસ જેલમાં વિતાવ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટ તરફથી જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે ચિદમ્બરમ પર મીડિયા કોઈ પણ પ્રકારના નિવેદનો આપવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમની ગત 21 ઓગસ્ટે સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરી હતી. સુપ્રીમે ગયા સપ્તાહે આ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જસ્ટિસ આર. ભાનુમતિ, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ હ્રષિકેશ રોય ત્રણ જજોની બેંચે નિર્ણય સંભળાવ્યો હતો.