ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયો માટે ઓપરેશન ‘અજય’

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસના આતંકવાદીઓની વચ્ચે જારી લડાઈમાં બંને જગ્યાએ મૃતકોની સંખ્યાનો આંકડો 2400ને પાર થયો છે. હજારો લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલની સરકાર પર દબાણ છે કે એ હમાસને ગાઝામાંથી ઉખાડીને ફેંકી દે. હવે ભારતે પણ ઇઝરાયેલમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે એક ઓપરેશન શરૂ કર્યું છે.

હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલી શહેરો પર હુમલા પછી કેટલીય એરલાઇન કંપનીઓએ પોતાની ઉડાનો રદ કરી છે. આમાં એર ઇન્ડિયા પણ સામેલ છે. ઉડાન રદ થવાથી ભારતીય વિદ્યાર્થીઓ, પરિવાર અને ધાર્મિક યાત્રા પર ગયેલા લોકો ફસાઈ ગયા છે. પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલા બાદ છઠ્ઠા દિવસે યુદ્ધ સતત આક્રમક બની રહ્યું છે  ભારતે ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને દેશમાં પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરવાની જાહેરાત કરી છે.

ઓપરેશન અજય મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મિડિયા X પર લખ્યું, “ઇઝરાયેલથી ભારત આવવા ઇચ્છતા લોકો માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવી રહ્યું છે. વિશેષ ચાર્ટર ફ્લાઇટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં રહેતા અમારા નાગરિકોની સલામતી અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

એસ જયશંકરની પોસ્ટ પર ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે જે ભારતીય નાગરિકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેમને વિશેષ ફ્લાઇટ માટે મેઇલ કરવામાં આવ્યા છે. લગભગ 18,000 ભારતીય નાગરિકો કામ અથવા અભ્યાસ માટે ઇઝરાયેલમાં રહે છે. અહીં રહેતા ભારતીયોનો મોટો હિસ્સો કેરગીવર તરીકે કામ કરે છે, પરંતુ લગભગ 1000 વિદ્યાર્થીઓ, ઘણા IT પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓ પણ છે.