નિર્ભયાને મળ્યો ન્યાયઃ ક્યાં છે એ વ્યક્તિ જે ઘટના સમયે નિર્ભયાની સાથે હતો?

નવી દિલ્હીઃ નિર્ભયા રેપ કેસમાં ફાંસી બાદ જેટલી ખુશી નિર્ભયાના પરિવારને થઈ છે તેટલા જ રાહતના શ્વાસ તેના મિત્ર અવનીન્દ્ર પાંડેએ લીધા હશે. અવનીન્દ્ર પાંડે આ કેસના એકમાત્ર પ્રત્યક્ષદર્શી હતા, તેમની જ સાથે તે રાત્રે નિર્ભયા ફિલ્મ જોઈને પાછી ફરી રહી હતી. આ સાત વર્ષોમાં અવનીન્દ્રએ ઘણું સહન કર્યું છે. કેસ દરમિયાન તેના પર પણ કેટલાક આરોપો લાગ્યા છે. પરંતુ અત્યારે અવનીન્દ્ર આ બધાથી દૂર વિદેશમાં છે.

અવનીન્દ્રએ ત્રણ વર્ષ પહેલા લગ્ન કરી લીધા છે. અત્યારે તેઓ પોતાની પત્ની સાથે વિદેશમાં સેટલ થઈ ગયા છે અને ત્યાં જ નોકરી કરી રહ્યા છે. તેમને એક દીકરો પણ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ફાંસીની સજાની જાહેરાત બાદ તેઓ ખૂબ ખૂશ હતા.

અવનીન્દ્ર ગોરખપુરના તુર્કમાનપુરના નિવાસી છે. અવનીન્દ્રના પિતા ગોરખપુરના જાણિતા વકીલ છે. તેમણે વર્ષ 2017 માં જણાવ્યું હતું કે મારા દિકરાએ લગ્ન કરી લીધા છે. પ્રોફેશનલી એન્જિનિયર અવનીન્દ્ર અત્યારે ક્યાં છે તે મામલે જણાવવાનો તેમના પિતાએ ઈનકાર કરી દીધો.

સાત વર્ષ પહેલા 16 ડિસેમ્બરની એ રાત્રે નિર્ભયાની સાથે તેનો આ મિત્ર પણ હતો. અવનીન્દ્રએ નિર્ભયાને બચાવવાના ભરપૂર પ્રયત્નો કર્યા પરંતુ આ દુષ્કર્મીઓએ તેને અડધી તો તે જ સમયે મારી નાંખી હતી. આ ઘટનાના એટલા ઘેરા પ્રત્યાઘાત પડ્યા કે પાંડેનું જીવન એવું કહી શકાય કે સુમસાન અને દર્દથી ભરપૂર બની ગયું.