મમતા બેનરજી તૃણમુલ કોંગ્રેસ સંસદીય-પક્ષનાં અધ્યક્ષા નિમાયાં

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની શાસક તૃણમુલ કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય રાજકારણમાં ઝૂકાવવા પ્રયત્નશીલ છે અને 2024ની લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરે છે. આજે પાર્ટીનાં નેતાઓએ પક્ષનાં પ્રમુખ મમતા બેનરજીને તૃણમુલ કોંગ્રેસ સંસદીય પક્ષનાં ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢ્યાં છે. આ જાહેરાત પક્ષના સિનિયર નેતા અને રાજ્યસભાના સદસ્ય ડેરેક ઓબ્રાયને અહીં પત્રકારો સમક્ષ કરી હતી.

ચૂંટણી સમીક્ષકોનું માનવું છે કે તૃણમુલ કોંગ્રેસના આ નિર્ણયને પગલે મમતા બેનરજી હવે પછીની લોકસભા ચૂંટણી માટે પક્ષની વ્યૂહરચના ઘડવાનું શરૂ કરશે. બેનરજી 26 જુલાઈએ જ દિલ્હી જવાનાં છે અને ત્યાં એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળવાનાં છે.