મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોએ કોરોના-લોકડાઉન લંબાવવા કહ્યું

મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોએ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનની મુદત લંબાવવા કહ્યું છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વર્ચુઅલ બેઠકમાં મહારાષ્ટ્ર ઉપરાંત તેલંગાણા, પંજાબ અને ઓડિશાના મુખ્ય પ્રધાનોએ લોકડાઉન લંબાવવા કહ્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, કે લોકડાઉન લંબાવવું જરૂરી છે. એ ઉઠાવી લેવું ન જોઈએ, પરંતુ એનું નિયમન કરવું જોઈએ અને થોડીક છૂટછાટો આપવી જોઈએ.

એમણે વડા પ્રધાનને એવી વિનંતી પણ કરી છે કે રાજ્યોના પોલીસોકર્મીઓ સતત ફરજ બચાવી રહ્યા છે એટલે એમને આરામની જરૂર હોવાથી કેન્દ્ર સરકારે કેન્દ્રીય સુરક્ષા દળોને રાજ્યોમાં તહેનાત કરવા જોઈએ.

દેશભરમાં કોરોના-લોકડાઉન લાગુ કરાયા બાદ આજની બેઠક વડા પ્રધાન અને મુખ્ય પ્રધાનો વચ્ચે પાંચમી હતી. એ બે સત્રમાં ચાલી હતી. પહેલા સત્રમાં બેઠક બપોરે 3થી 5.30 વાગ્યા સુધી ચાલી હતી. ત્યારબાદ અડધા કલાકનો વિરામ અપાયો હતો. બીજું સત્ર – ત્રણ કલાકનું, છ વાગ્યાથી શરૂ થયું હતું.