‘જયલલિતાની હત્યા કરાઈ હતી’: ભૂતપૂર્વ જજનો દાવો

ચેન્નાઈઃ તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અન્નાદ્રમુક (AIADMK) પાર્ટીનાં દિવંગત નેતા જે. જયલલિતાનું મૃત્યુ કુદરતી નહોતું, પણ એમની હત્યા કરવામાં આવી હતી એવા એક ભૂતપૂર્વ ન્યાયાધીશે કરેલા દાવાને કારણે તામિલનાડુ રાજ્ય ઉપરાંત દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જયલલિતાનું 2016માં ચેન્નાઈની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પરંતુ બાદમાં તે વિશે વિવાદ થતાં મદ્રાસ હાઈકોર્ટે તપાસ યોજવાનો આદેશ આપ્યો હતો.

તામિલનાડુ હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ એ. અરુમુઘસ્વામીની આગેવાની હેઠળના તપાસ પંચે જયલલિતાની હોસ્પિટલમાં સારવાર તથા એમનાં મૃત્યુ અંગે સુપરત કરેલા પોતાના તપાસ અહેવાલમાં કરેલા ઘટસ્ફોટ વિશે તપાસ હાથ ધરવી જોઈએ એવી માગણી કરાઈ છે. તપાસ પંચનો અહેવાલ આજે તામિલનાડુ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

તપાસ પંચનું કહેવું છે કે જયલલિતાની એન્જિયોપ્લાસ્ટી કરવાની આવશ્યક્તા હતી તે છતાં દુર્લક્ષ સેવવામાં આવ્યું હતું. એમનાં નિકટનાં સહયોગી શશીકલાની ભૂમિકા શંકાસ્પદ છે. તેથી એમની તેમજ જયલલિતાની સારવાર કરનાર ડોક્ટરો સામે ઉચ્ચસ્તરે તપાસ યોજવી જોઈએ. જયલલિતાની પદ્ધતિસર હત્યા કરવા માટે શશીકલાની સાથે અન્ય કેટલાક જણ સામેલ થયા હોવાની સંભાવના છે.