પ્રીમિયમ ટ્રેનોમાં ભોજન, કેટરિંગ સેવાઓ ફરી શરૂ

નવી દિલ્હીઃ પ્રવાસી સેવાઓ પ્રસ્થાપિત કરવાની દિશાના એક મહત્ત્વના પગલામાં ભારતીય રેલવેએ રાજધાની, શતાબ્દી, દુરંતો, વંદે ભારત, તેજસ, ગતિમાન એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોમાં તાજું રાંધેલું ભોજન પીરસવાનું ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાવાઈરસ રોગચાળો ફેલાતાં ગયા વર્ષના માર્ચના અંતભાગથી ટ્રેનોમાં ભોજન રાંધવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.

આ સંદર્ભમાં તમામ સંબંધિત વિભાગો અને લાગતાવળગતાં લોકોને રેલવે બોર્ડ દ્વારા ઓર્ડર ઈસ્યૂ કરી દેવામાં આવ્યો છે. ઓર્ડરમાં જણાવાયું છે કે આ બાબતમાં અભ્યાસ થઈ ચૂક્યો છે અને એવું નક્કી કરાયું છે કે ટ્રેનોમાં ભોજન રાંધવાનું ફરી શરૂ કરાશે.