ગૃહપ્રધાન અમિત શાહે જોશીમઠ સંકટ પર બોલાવી બેઠક

જોશીમઠઃ ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી પડવાને લઈને ગૃહપ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી સાથે ફેનમાં વાત કરી હતી. શાહે જોશીમટની તાજી સ્થિતિ વિશે માહિતી મેળવી હતી અમને પ્રદેશને દરેક સંભવ મદદ આપવાનું આશ્વાસન આપ્યું હતું.

જોશીમઠમાં જમીન ધસવી એક મોટી સમસ્યા બની ગઈ છે, કેમ કે 131 પરિવારોને તેમનાં ઘરોમાંતી બહાર કાઢવામાં આવ્યા છે. તેમના ઘરોમાં તિરાડો પડી ગઈ છે અને આ ઘરોને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યાં છે. કેટલાક સમય પહેલાં ઉત્તરાખંડ સરકાર દ્વારા નિર્માણ કાર્યો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો અને 723 ઈમારતોને જોખમી તરીકે ઓળખવામાં આવી હતી.

મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ગઈ કાલે મોડી રાતે રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને ત્યાં લાવવામાં આવેલા અસરગ્રસ્તો લોકો સાથે વાતચીત કરી હતી. તેમણે મુલાકાત એવા સમયે કરી હતી, જ્યારે લોકોએ પોતાનાં ઘરોને તોડવા પહેલાં વળતરની માગ માટે સતત વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. 

તેમણે લોકોને જણાવ્યું હતું કે અમે બધાને વિશ્વાસ અપાવીએ છીએ કે જોશીમઠ આમાંથી બહાર નીકળશે. તેમને અનેક લોકોએ ફરિયાદ કરી હતી કે હજી અમને વળતર નથી મળ્યું. જોકે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે પ્રભાવિત લોકોએ રૂ. 1.5 લાખની વચગાળાની મદદ આપવામાં આવી રહી છે. તેમણે રાહત અને પુનર્વાસ માટે તૈયારીની સમીક્ષા કરી હતી. બજારના દર પ્રમાણે વળતર આપવામાં આવશે અને  નિર્ધારણ બધા હિતધારકોને વિશ્વાસમાં લઈને કરવામાં આવશે. જોકે રાહત કાર્યોમાં વરસાદનું વિઘ્ન આવી રહ્યું છે.