નવી દિલ્હી – પોતાની પત્નીઓને તરછોડી દેવા બદલ ભારત સરકારે 33 બિન-રહેવાસી ભારતીયો (NRI)નાં પાસપોર્ટ રદ કરી નાખ્યા છે.
મહિલાઓ તથા બાળ વિકાસ મંત્રાલયે આ જાણકારી આપી છે.
ઈન્ટીગ્રેટેડ નોડલ એજન્સીને આ કિસ્સાઓમાં તપાસ કરવાની ફરજ પાડવામાં આવી છે. એણે ભાગેડૂ પતિઓ માટે લૂક-આઉટ સર્ક્યૂલર (નોટિસો) જારી કરી છે.
વિદેશ મંત્રાલયે એવા 33 NRI પતિઓનાં પાસપોર્ટ રદ કરી નાખ્યા છે.
મહિલા અને બાળવિકાસ મંત્રાલય એક વિગતવાર પ્રસ્તાવ કેન્દ્રીય પ્રધાનમંડળ સમક્ષ એની મંજૂરી માટે મૂકશે, જેમાં NRI દ્વારા લગ્ન કરાય તો એક અઠવાડિયામાં જ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મહિલા અને બાળવિકાસ મંત્રાલય તથા નેશનલ કમિશન ફોર વીમેન, NRI લગ્નોમાં મહિલાઓનું રક્ષણ થાય એ માટે દરેક સંભવિત પગલાં લઈ રહ્યાં છે.
NRI દ્વારા લગ્નોમાં પત્નીઓને તરછોડી દેવાનાં કિસ્સાઓ એક ગંભીર સમસ્યા છે અને આ પહેલી જ વાર મહિલાઓ અને બાળવિકાસ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યાં છે.