રાજ્યપાલ કોશિયારીએ શિવાજીનું અપમાન કર્યું :શિવસેના

મુંબઈઃ રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીના નિવેદન પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો મચ્યો છે. ગર્વનર કોશિયારીએ એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે જો ગુજરાતી અને રાજસ્થાની ચાલ્યા જાય તો મુંબઈમાં પૈસા જ બચશે નહીં અને મુંબઈ દેશની આર્થિક રાજધાની ગણાશે નહીં. શિવસેનાએ રાજ્યપાલના નિવેદનને મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું છે. શિવસેનાએ આ નિવેદનને શિવાજીનું અપમાન ગણાવ્યું છે.

કોશિયારીએ મુંબઈના અંધેરી પશ્ચિમ ક્ષેત્રમાં એક સ્થાનીય ચોકનું નામ શ્રીમતી શાંતિદેવી ચંપાલાલજી કોઠારી  રાખવાના પ્રસંગે એક કાર્યક્રમને સંબોધિત કરતાં સમયે આ વાત કહી હતી. શિવસેના રાજ્યપાલ કોશિયારીના નિવેદન પર શિવસેનાએ હુમલો કર્યો છે. સેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વીટ કરતાં લખ્યું છે છે કે મહારાષ્ટ્રમાં ભાજપ સમર્થિત મુખ્ય મંત્રી બનતાં સ્થાનિક મરાઠી અને છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવાનું શરૂ થયું છે. સ્વાભિમાન અને અભિમાનને નામે બનેલી શિવસેનામાંથી બહાર નીકળનાર લોકો આ સાંભળીને ચૂપ બેઠા છે. તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ નિવેદનની ટીકા કરે અને કેન્દ્રથી રાજ્યપાલને દૂર કરવાની માગ કરી હતી. આ સાવિત્રીબાઈ ફુલે અને શિવાજીનું અપમાન છે. એનાથી મહારાષ્ટ્ર ગુસ્સામાં છે.

તેમણે રાજ્યપાલ કોશિયારીના ભાષણનો વિડિયો ટ્વિટર પર શેર કરતાં કહ્યું હતું કે રાજ્યપાલનો મતલબ છે કે મહારાષ્ટ્ર અને મરાઠી લોકો ભિખારી છે. શિવસેનાનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે આ મહારાષ્ટ્ર અને મરાઠી માનુષના લોકોની સખત મહેનતનું અપમાન છે.એનસીપીના ધારાસભ્ય અમોલ મિતકારીએ કહ્યું કે મહારાષ્ટ્ર અને મુંબઈના લોકો કુશળ અને સક્ષમ છે. તમે મરાઠી લોકોનું અપમાન કર્યું છે. તેમણે જલદીથી જલદી મહારાષ્ટ્રની માફી માગવી જોઈએ.

કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કહ્યું કે આ ભયાનક છે કે રાજ્યના રાજ્યપાલ  જ રાજ્યના લોકોને બદનામ કરી રહ્યા છે. તેમણે મહારાષ્ટ્રને પણ સતત અપમાનિત કર્યું છે.