તિરુપતિ પ્રસાદ વિવાદમાં બનશે પાંચ સભ્યોની SIT: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તિરુપતિ વિવાદમાં SIT બનાવવાનું એલાન કર્યું છે. પાંચ સભ્યોની એક ટીમ બનાવવાની વાત થઈ છે. SITની આ ટીમમાં CBI અધિકારીઓથી માંડીને FMCGના સભ્યોને સામેલ કરવામાં આવશે. આ કેસ યેનકેનપ્રકારેણ રાજકારણને દૂર રાખવામાં આવશે અને તમામ ધ્યાન માત્ર તપાસ પર કેન્દ્રિત કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર દ્વારા રચેલી SITને નાબૂદ કરી દીધી. હવે આ કેસની તપાસ કરનારી નવી SITમાં CBIના બે અધિકારીઓ હશે. આ ઉપરાંત ટીમમાં બે લોકો રાજ્ય પોલીસના અને FSSAIના એક અધિકારી પણ હશે. આ આદેશ આપતી વખતે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જોકે સોલિસિટર જનરલે જૂની SITમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ તેમ છતાં સુપ્રીમે નવી SITની રચના કરી દીધી.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રસાદમાં ભેળસેળના આરોપોએ વિશ્વભરના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી છે. તિરુપતિ મંદિરમાં ભગવાનનો પ્રસાદ (લાડુ) બનાવવામાં વપરાતા ઘીમાં પશુ ચરબી સહિત ભેળસેળ હોવા મુદ્દે મોટો વિવાદ થયો હતો, ત્યારે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી ચાલી રહી છે.

તિરુપતિ પ્રસાદ વિવાદ મુદ્દે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે અમે નથી ઇચ્છતા કે આ રાજકીય ડ્રામા બને. સ્વતંત્ર સંસ્થા હશે તો આત્મવિશ્વાસ રહેશે. આ કેસની સુનાવણી બુધવારે મુલતવી રાખવામાં આવી હતી. SG તુષાર મહેતાએ કહ્યું હતું કે તેઓ શુક્રવારે કેન્દ્રનો જવાબ રજૂ કરશે, એટલા માટે આ કેસની સુનાવણી એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી.