ભૂપિન્દરસિંહ માન SC રચિત સમિતિમાંથી હટી ગયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા 3 કૃષિ કાયદાઓના વિરોધમાં 50 દિવસોથી દિલ્હીના સીમાવિસ્તારોમાં આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે સરકારની મડાગાંઠ ઉકેલવા સુપ્રીમ કોર્ટે કાયદાઓનો અમલ અટકાવી દીધો છે અને ચાર-સભ્યોની એક સમિતિની રચના કરી છે, પરંતુ આ સમિતિના એક સભ્યપદેથી ભૂપિન્દરસિંહ માન હટી ગયા છે. 81-વર્ષના માન ભારતીય કિસાન યૂનિયનના પ્રમુખ છે, ભૂતપૂર્વ અપક્ષ રાજ્યસભા સદસ્ય છે અને ઓલ ઈન્ડિયા કિસાન કોઓર્ડિનેશન કમિટીના ચેરમેન છે. સુપ્રીમ કોર્ટે નિમેલી સમિતિના અન્ય 3 સભ્યો છે – અનિલ ઘણાવટ, અશોક ગુલાટી અને પ્રમોદ કુમાર જોશી.

ભૂપિન્દરસિંહ માને એક અખબારી નિવેદન દ્વારા પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. એમણે સમિતિમાં પોતાને નિયુક્ત કરવા બદલ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે, પરંતુ કહ્યું છે કે પોતે ખેડૂતોનાં હિતો સાથે કોઈ પ્રકારની બાંધછોડ કરી શકે એમ નથી તેથી પોતે કોઈ પણ હોદ્દો છોડી દેવાનું પસંદ કરશે. ખેડૂત સંગઠનો અને જાહેર જનતામાં પ્રવર્તતી લાગણી અને ભયસ્થાનોના સંદર્ભમાં પોતે કોઈ પણ હોદ્દાનો ત્યાગ કરવા તૈયાર છે, જેથી પંજાબ અને ખેડૂતોના હિતો સાથે કોઈ પ્રકારની બાંધછોડ ન થાય.