ચૂંટણી પંચ તો ભાજપની કઠપૂતળી છેઃ JMMનો આરોપ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. એ પહેલાં ઝારખંડ મુક્તિ મોરચાએ મોટો આરોપ લગાવતાં કહ્યું હતું કે ભાજપને તારીખોની જાહેરાત પહેલાં એની માહિતી મળી ગઈ હતી. JMM નેતા મનોજ પાંડેએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓને ચૂંટણીની તારીખોના એલાન પહેલાં માહિતી મળી ગઈ હતી. તેમણે ચૂંટણી પંચને કઠપૂતળી પણ બતાવી હતી.

મનોજ પાંડેએ કહ્યું હતું કે અમે ચૂંટણી માટે હંમેશાં તૈયાર રહીએ છીએ, પરંતુ ચૂંટણીની ઘોષણા થવાની છે  પહેલાં ભાજપના નેતાઓને એની માહિતી ગઈ કાલથી મળી ગઈ હતી. આ બહુ ગંભીર વિષય છે.

ચૂંટણી પંચ બપોરે 3.30 વાગ્યે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે 3.30 વાગ્યે એક પત્રકાર પરિષદ યોજશે, જેમાં ચૂંટણીની તારીખ અને મત ગણતરીની જાહેરાત કરવામાં આવશે.

મહારાષ્ટ્ર અને ઝારખંડનું રાજકીય માહોલ હાલ ગરમાયો છે. જો મહારાષ્ટ્રમાં હાલમાં એકનાથ શિંદેની શિવસેનાની આગેવાની હેઠળની સરકાર છે, જેમણે જૂની શિવસેના સામે બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવીને રાજ્યમાં સરકાર બનાવી હતી. મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થવાનું છે.

જ્યારે ઝારખંડમાં તમામ 81 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી 2025એ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજવામાં આવી હતી.