જન્મદિવસ ન ઉજવવાની પક્ષના કાર્યકર્તાઓને રાહુલની અપીલ

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ અને સંસદસભ્ય રાહુલ ગાંધી આજે એમનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે એમના જન્મદિવસની કોઈ પ્રકારની ઉજવણી ન કરવાની એમણે પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને અપીલ કરી છે. તમામને સંબોધીને લખેલા એક સંદેશમાં એમણે જણાવ્યું છે કે દેશભરમાં હાલ પ્રવર્તતી પરિસ્થિતિઓથી આપણે સૌ ચિંતિત છીએ. કરોડો યુવાઓનું મન દુઃખી છે. આપણે આ યુવાઓની, એમનાં પરિવારજનોની પીડામાં સહભાગી થઈએ.

રાહુલ ગાંધીએ આ સંદેશ કેન્દ્ર સરકારે સશસ્ત્ર દળોમાં નવા સૈનિકોની ભરતી માટે લાગુ કરેલી ‘અગ્નિપથ’ યોજના સામે દેશના અનેક ભાગોમાં પ્રવર્તતા વિરોધ-આંદોલનના સંદર્ભમાં બહાર પાડ્યો છે. આ સંદેશ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (એઆઈસીસી)ના મહામંત્રી (સંદેશવ્યવહાર) જયરામ રમેશ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે.