કોંગ્રેસ થોડાં વર્ષોમાં ડાયનાસોરની જેમ ગાયબ થઈ જશેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ ચૂંટણીપ્રચારમાં ગરમાવો આવતો જાય છે. રાજકીય નેતાઓના ચૂંટણીપ્રચારમાં આક્ષેપ-પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. ભાજપનો પ્રચાર કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઉત્તરાખંડના ગૌચર પહોંચ્યા હતા.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી થોડાં વર્ષોમાં ડાયનાસોરની જેમ ગાયબ થઈ જશે. એ બિલકુલ નજરે નહીં પડે. કોંગ્રેસનો આંતરકલહ ટેલિવિઝન રિયલિટી શો બિગ બોસના ઘર જેવો છે, એમ તેમણે કહ્યું હતું,કોંગ્રેસના નેતાઓનું પલાયન જારી છે. પાર્ટીના એક પછી એક નેતા પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. મને ડર છે કે હવે કોંગ્રેસ થોડાં વર્ષોમાં કોંગ્રેસ ડાયનાસોર જેમ ગાયબ થઈ જશે. વર્ષ 2024ની લોકસભા ઇલેક્શન પછી કેટલાંક બાળકો પણ પાર્ટીને નહીં ઓળખે.

કોંગ્રેસના નેતાઓ એકમેકથી લડી રહ્યા છે. તેઓ રોજ એકમેકનાં લૂગડાં ઉતારી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું. તેમનું આ નિવેદન છેલ્લા કેટલાક મહિનાઓમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓએ પાર્ટી છોડી છે, જેમાં મિલિંદ દેવડા, અશોક ચવ્હાણ જેવા મોટા નેતાઓ સામેલ છે. ચવ્હાણ ભાજપમાં સામેલ થયા છે અને પાર્ટીના રાજ્યસભાના સાંસદ બની ગયા છે.

મેં ક્યારેય કોઈ પણ વડા પ્રધાનની ટીકા નથી કરી, પછી ભલે એ કોંગ્રેસ પાર્ટીના હોય કે કોઈ અન્ય પાર્ટીના. કોંગ્રેસના શાસન કાળમાં ભ્રષ્ટાચારની બોલબાલા હતી. વડા પ્રધાન મોદીએ જન-ધનના ખાતાં ખોલાવીને ભ્રષ્ટાચારને સમાપ્ત કરવાનું કામ કર્યું છે. કોંગ્રેસ એટલી વૃદ્ધ થઈ ગઈ છે કે પહાડ ચઢવાનું એનુ કામ નથી, એમ તેમણે કહ્યું હતું.