ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રક્ષણ માટે અભૂતપૂર્વ બંદોબસ્ત

ચંડીગઢઃ પંજાબી ગાયક સિધુ મૂસેવાલાની હત્યાના કેસમાં તપાસ ચાલી રહી છે ત્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગઈ કાલે પંજાબમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કેસમાં પંજાબની પોલીસ બિશ્નોઈની પૂછપરછ કરવા માગે છે એટલે તેને દિલ્હીની તિહાર જેલમાંથી પંજાબ લઈ જવામાં આવ્યો હતો. મૂસેવાલાની જ્યાં ગયા મહિને હત્યા કરવામાં આવી હતી તે માનસા શહેરના ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ બિશ્નોઈને હાજર કરાયો હતો, પરંતુ એના રક્ષણ માટે અભૂતપૂર્વ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. એને બે બુલેટપ્રુફ કાર, 54 પોલીસોના કાફલાના રક્ષણ હેઠળ પંજાબ લઈ જવામાં આવ્યો હતો.

માનસાના મેજિસ્ટ્રેટે બિશ્નોઈને સાત દિવસ માટે રીમાન્ડ પર રાખવાની પંજાબ પોલીસને છૂટ આપી છે. બિશ્નોઈને પંજાબ લઈ જઈ ત્યાંની કોર્ટમાં હાજર કરવાની દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગઈ કાલે છૂટ આપી હતી. મૂસેવાલાની હત્યામાં પોતે સંડોવાયેલો નથી એવું બિશ્નોઈ દિલ્હી પોલીસને કહી ચૂક્યો છે. હવે પંજાબ પોલીસ એની પૂછપરછ કરવા માગે છે.