કેજરીવાલ પર હુમલો કરાવ્યો ભાજપેઃ CM આતિશીનો દાવો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે કેટલાક અજાણ્યા લોકોએ ભૂતપૂર્વ CM કેજરીવાલ પર હુમલો કર્યો છે. આપ પાર્ટીનો આરોપ છે કે કેજરીવાલ પર હુમલો કરવા માટે ગુંડાઓને ભાજપે મોકલ્યા હતા.

AAPનો આરોપ છે કે ભાજપના ગુંડાઓએ દિલ્હીના વિકાસપુરીમાં પદયાત્રા દરમિયાન અરવિંદ કેજરીવાલ પર હુમલો કરાવ્યો હતો. પાર્ટીનો આરોપ છે કે પોલીસે ભાજપના લોકોને અટકાવ્યા નથી.

દિલ્હીના મંત્રી અને AAPના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે જ્યારે ED, CBI અને જેલથી પણ વાત  ન બની ત્યારે હવે ભાજપના લોકો કેજરીવાલ પર હુમલો કરી રહ્યા છે. જો તેમને કંઈ થશે તો તેની સીધી જવાબદારી ભાજપની રહેશે.


દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે  અરવિંદ કેજરીવાલ પર થયેલો હુમલો અત્યંત નિંદનીય અને ચિંતાજનક છે. તે સ્પષ્ટ છે કે ભાજપે તેના ગુંડાઓ દ્વારા આ હુમલો કરાવ્યો છે. જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે. અમે ડરવાના નથી  અને આમ આદમી પાર્ટી તેના મિશનને વળગી રહેશે, એમ તેમણે કહ્યું હતું.

AAP સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે દિલ્હીના ભૂતપૂર્વ CM અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે વિકાસપુરી વિસ્તારમાં પદયાત્રા કરી રહ્યા હતા. તે દરમિયાન ભાજપના લોકોએ તેમના પર હુમલો કર્યો. આ ખૂબ જ દુઃખદ છે અને ગંભીર બાબત છે.