3 રહેવાસીને કોરોના થયો; ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના તન્મય વેકરિયાનું મકાન સીલ

મુંબઈઃ કોરોના વાઈરસનો પ્રકોપ ઘટવાને બદલે વધી રહ્યો છે. દેશમાં કોરોનાનાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં થયા છે અને મુંબઈ આ બીમારીનું એપીસેન્ટર બન્યું છે. અમુક ફિલ્મી હસ્તીઓ આ બીમારીની ઝપટમાં આવી ગઈ છે, જેમ કે ગાયિકા કનિકા કપૂર, નિર્માતા મોરાની પરિવાર, અભિનેત્રી અંકિતા લોખંડે.

એક અહેવાલ મુજબ, હિન્દી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકાર તન્મય વેકરિયા જ્યાં રહે છે તે કાંદિવલી (વેસ્ટ) ઉપનગરના રાજ આર્કેડ બિલ્ડિંગને પણ મુંબઈ મહાનગરપાલિકાએ સીલ કર્યું છે, કારણ કે એ મકાનના 3 રહેવાસીનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

તન્મય આ સિરિયલમાં ‘બાઘા’નું પાત્ર ભજવે છે.

તન્મય વેકરિયા કાંદિવલીમાં એની પત્ની અને બે પુત્રી સાથે રહે છે.

આને કારણે હવે આ બિલ્ડિંગના રહેવાસીઓને 14 દિવસો સુધી ક્વોરન્ટાઈનમાં રખાશે. એમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર નીકળી નહીં શકે અને કોઈ પણ વ્યક્તિને અંદર જવા દેવામાં નહીં આવે. રહેવાસીઓને તમામ આવશ્યક ચીજવસ્તુઓ ઘરમાં પહોંચાડવામાં આવશે.

આ પહેલાં અભિનેત્રી અંકિતા લોખંડેની રહેણાક સોસાયટીમાં પણ એક જણનો કોરોના વાઈરસ ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવતાં આખા મકાનને સીલ કરી દેવામાં આવ્યું છે. અંકિતા પણ 14 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં છે.

મહારાષ્ટ્ર અને ત્યારબાદ ભારત સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ મુંબઈમાં ફિલ્મ અને ટીવી સિરિયલોની તમામ પ્રવૃત્તિઓ બંધ છે.