મહારાષ્ટ્રમાં લોકડાઉનને કદાચ 31 મે સુધી લંબાવાશે

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસના દૈનિક કેસોનો આંકડો હજી 50,000થી વધારે હોવાને કારણે રાજ્ય સરકાર લોકડાઉન અને કડક નિયંત્રણોને 15 મેથી આગળ, 31 મે સુધી લંબાવવા વિચારી રહી છે. રાજ્યમાં ગઈ 22 એપ્રિલે સરકારે જાહેરાત કરી હતી કે 1 મે સુધી રાજ્યમાં લોકડાઉન લાગુ રહેશે. ત્યારબાદ વાઈરસની ચેન તોડવા માટે લોકડાઉન નિયંત્રણોના અમલને 15 મે સુધી લંબાવવામાં આવ્યા હતા.

રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું છે કે કોરોનાવાઈરસ કટોકટી હજી સમાપ્ત થઈ નથી અને ત્રીજી લહેર આવવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. જો કડક નિયંત્રણોને હાલ ઉઠાવી લેવામાં આવશે તો પરિસ્થિતિ કદાચ ફરીથી અંકુશબહાર જતી રહેશે. સરકાર વાઈરસના ત્રીજા તબક્કાનો સામનો કરવા માટે સજ્જ થઈ ગઈ છે. સરકાર રસીકરણ ઝુંબેશની ગતિ પણ વધારી રહી છે.