મહારાષ્ટ્રમાં કૃષિ-કાયદા લાગુ નહીં કરાયઃ વિધાનસભા-સ્પીકરની જાહેરાત

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર નાના પટોલે આજે સવારે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે ગયા હતા અને ખેડૂતોએ યોજેલા ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બે મહિના કરતાંય વધારે સમયથી રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કૃષિ કાયદાઓ સામેના વિરોધમાં આંદોલન-ધરણા કરી રહેલા હજારો ખેડૂતોના સમર્થનમાં નાશિક તથા મહારાષ્ટ્રના અન્ય ભાગોમાંથી ખેડૂતો મુંબઈમાં એકત્ર થયા છે. ખેડૂતોના આંદોલનને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારના સહભાગી પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારનો પણ સમાવેશ થાય છે.

નાના પટોલે હાલ કોંગ્રેસના નેતા છે. ભૂતકાળમાં એ ભાજપના સંસદસભ્ય (ભંડારા-ગોંદિયા) હતા, પણ ભાજપ તથા સંસદસભ્યપદેથી રાજીનામું આપીને તે કોંગ્રેસમાં જોડાયા છે. આજે ધ્વજવંદન કાર્યક્રમ વખતે પોતાના સંબોધનમાં એમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે મહારાષ્ટ્રમાં નવા કેન્દ્રીય કૃષિ કાયદાઓને લાગુ કરવામાં નહીં આવે. એમણે કહ્યું કે હું પોતે એક ખેડૂત છું. હું ખેડૂત પહેલાં છું અને સરકારી પ્રતિનિધિ બાદમાં. હું તમને સમર્થન આપવા માટે જ અહીંયા આવ્યો છું.